Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાષ્ટ્રમંડલ રમત : ૨૦૨૨માં શૂટિંગનો સમાવેશ નહીં કરાય

શૂટિંગને ભારતને વધુ ચંદ્રકો મળી રહ્યા હતા : સીજીએફના નિર્ણયથી ભારતીય શૂટરોને નિરાશા હાથ લાગી : ૨૦૧૮માં ભારતે ૧૬ ચંદ્રકો શૂટિંગમાં મેળવ્યા

નવી દિલ્હી, તા. ૨૧ : રાષ્ટ્રમંડળ ખેલ મહાસંઘે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ૨૦૨૨માં રાષ્ટ્રમંડલ રમતોમાં નિશાનેબાજીને સામેલ કરવામાં આવશે નહીં. આની સાથે જ ભારતને મોટો ફટકો પડી ગયો છે. સીજીએફે બર્મિંગ્હામમાં ૨૦૨૨માં યોજાનાર કોમન વેલ્થ રમતોત્સવમાં નિશાનેબાજીને સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં આયોજિત આ રમતોમાં ભારતે કુલ ૬૬ ચંદ્રકો જીત્યા હતા જેમાં માત્ર ૧૬ ચંદ્રક નિશાનેબાજીમાં મળ્યા હતા. ભારતે ૨૦૧૮માં આ રમતોમાં ચંદ્રક ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચવામાં સફળતા મેળવી હતી. નિશાનેબાજીને સામેલ નહીં કરવાના પરિણામ સ્વરુપે ભારતને ચોક્કસપણે મોટો ફટકો પડશે. આ સંદર્ભમાં સચિવ રાજીવ ભાટિયાએ કહ્યું હતું કે, સંઘે ખુબ પ્રયાસ કર્યા હતા પરંતુ આયોજન સમિતિ પોતાની બાબત ઉપર મક્કમ રહી છે. માત્ર નિશાનેબાજી માટે જ નહીં બલ્કે સમગ્ર ભારત માટે આ એક મોટો ફટકો છે. ભારત ચંદ્રક ટેબલમાં ખુબ ઉપરની સપાટી ઉપર રહે છે. આના મુખ્ય કારણોપૈકી એક કારણ નિશાનેબાજીમાં મળનાર ચંદ્રકો પણ છે. ૨૦૨૨ કોમનવેલ્થ ગેમમાં નિશાનેબાજીને બહાર કરવાને લઇને ચર્ચા ખુબ પહેલાથી ચાલી રહી હતી. આને રોકવા માટે કોઇ પગલા લેવાયા હતા કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તમામ પ્રયાસો થયા હતા પરંતુ પરિણામો નિરાશાજનક રહ્યા છે. ગોલ્ડકોસ્ટમાં ભારતે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી હતી. આ રમતોત્સવમાં ૫૦ મિટર રાયફલ અને અન્યમાં રજત જીતનાર ભારતીય શૂટર અંજુમ મોદગિલે કહ્યું છેકે, આ ખુબ જ નિરાશાજનક સમાચાર છે. આના કારણે શુટરોનો પણ મોટી નિરાશા હાથ લાગશે.

(7:40 pm IST)