Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વર્લ્‍ડકપ-2019માં ભારત અને પાકિસ્‍તાન સેમી ફાઇનલમાં પહોંચશેઃ સૌરવ ગાંગુલીનો વરતારો

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે તેના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે. ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલીની આઈપીએલની આગેવાનીની વિશ્વકપ પર અસર પડશે નહીં. કારણ કે એકદિવસીય કેપ્ટનના રૂપમાં તેનો રેકોર્ડ સારો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલી માટે સૌથી મોટો ફાયદો તે છે કે તેને બે સફળ કેપ્ટનો એમએસ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે. આરસીબીની આઈપીએલમાં સતત નિષ્ફળતાથી વિરાટ કોહલીની નેતૃત્વક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. પરંતુ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમની આગેવાની આઈપીએલની આગેવાનીથી સંપૂર્ણ રીતે અલગ છે.

ગાંગુલીએ વિરાટની આગેવાનીનો કર્યો બચાવ

ગાંગુલીએ એક કાર્યક્રમની ઇતર પીટીઆઈને કહ્યું, વિરાટ કોહલીની આગેવાનીના રેકોર્ડની તુલના ભારતીય ટીમની આગેવાની સાથે ન કરો. ભારત માટે તેનો રેકોર્ડ ઘણો સારો છે. તેની સાથે રોહિત જેવો વાઇસ કેપ્ટન છે. ધોની ટીમમાં છે. તેથી તેનો સહયોગ મળશે. આ 46 વર્ષીય પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વિશ્વકપમાં હાર્દિક પંડ્યા ભારતીય અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું, હાર્દિક પંડ્યા મહત્વની ભૂમિકા અદા કરશે. તે શાનદાર ફોર્મમાં ચે. ભારત માટે તે મહત્વપૂર્ણ હશે.

સૌરવ ગાંગુલીએ પસંદ કરી સેમીફાઇનલની 4 ટીમો

ગાંગુલીએ સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય પાકિસ્તાનને પસંદ કર્યું છે. તેમણે કહ્યું, પાકિસ્તાનનો ઈંગ્લેન્ડમાં વિશ્વ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ઉલ્લેખનીય છે. બે વર્ષ પહેલા તેણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેણે 2009માં વિશ્વ ટી20 પણ ઈંગ્લેન્ડમાં જીત્યો હતો. પાકિસ્તાન હંમેશા ઈંગ્લેન્ડમાં સારૂ રમે છે. ગાંગુલીએ કહ્યું, હું રેકોર્ડમાં વિશ્વાસ કરતો નથી. તે દિવસે બંન્ને ટીમોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. ભારતની ટીમ ખૂબ સારી છે. તેને હરાવવી મુશ્કેલ હશે. જે ટીમમાં કોહલી, રોહિત અને શિખર ધવન જેવા ખેલાડી હોય તેને હરાવવી સહેલી નથી.

(5:39 pm IST)