Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

WTC : પ્રથમ દાવમાં ભારત ૨૧૭ રનમાં આઉટ

અજિંક્ય રહાણેએ સૌથી વધુ ૪૯ રન બનાવ્યા : ઝડપી બોલર કાયલે જેમિસનનો તરખાટ ૩૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી, કેપ્ટન વિરાટ કોહલીએ ૪૪ રન કર્યા

નવી દિલ્હી,તા.૨૦ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ દાવ ૨૧૭ રનમાં સમેટાઈ ગયો છે. રવિવારે મેચના ત્રીજા દિવસે કાયલે જેમિસને તરખાટ મચાવતા ભારતીય બેટ્સમેનો વધારે સમય ક્રિઝ પર ટકી શક્યા ન હતા. જેમિસને પાંચ વિકેટ ઝડપી હતી. ભારત માટે સૌથી વધુ રન અજિંક્ય રહાણેએ નોંધાવ્યા હતા. રહાણે ૪૯ રન નોંધાવીને આઉટ થયો હતો. રવિવારે મેચના ત્રીજા દિવસે ભારતે ત્રણ વિકેટે ૧૪૬ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. જોકે, રમત આગળ વધે તે પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. સુકાની વિરાટ કોહલી બીજા દિવસના સ્કોરમાં એક પણ રન ઉમેર્યા વગર આઉટ થઈ ગયો હતો. કોહલીએ ૧૩૨ બોલમાં એક ચોગ્ગા સાથે ૪૪ રન નોંધાવ્યા હતા.

     કોહલીએ ઉપસુકાની અજિંક્ય રહાણે સાથે મળીને ૬૧ રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. પંત ૨૨ બોલમાં ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉપરા-ઉપરી બે ઝટકાના કારણે ન્યૂઝીલેન્ડે પ્રભુત્વ મેળવી લીધું હતું. જ્યારે રહાણે ૧૧૭ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૪૯ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ જોડી જોખમી બને તે પહેલા ટિમ સાઉધીએ અશ્વિનને આઉટ કર્યો હતો. તેણે ૨૭ બોલમાં ૨૨ રન નોંધાવ્યા હતા. જ્યારે જાડેજા ૧૫ રન નોંધાવીને આઉટ થતાં ભારતના પ્રથમ દાવનો અંત આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે કાયલે જેમિસને ૨૨ ઓવરમાં ૩૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને નિલ વેગનરે બે-બે તથા ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.

(9:35 pm IST)