Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ખેલાડીઓએ જય શાહને કોહલીની ફરિયાદ કરી

કોહલી સામે ખેલાડીઓનો બળવો : રિપોર્ટ અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનું સન્માન ગુમાવી દીધું છે

નવી દિલ્હી,તા.૧૯ : ટીમ ઈન્ડિયામાં હાલ બધું બરાબર ચાલી રહ્યું નથી. ટીમની અંદર ખેલાડીઓ અને કેપ્ટન કોહલી વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું સુત્રો જણાવી રહ્યો છે. હાલમાં જ ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં કોહલીએ ટી૨૦ના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. પણ હવે ધીમે ધીમે જે પ્રમાણે રિપોર્ટ સામે આવી રહ્યા છે, તે પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, કોહલીના એટ્ટિટ્યુડને કારણે સાથી ખેલાડીઓમાં ભારે આક્રોશ છે. એક રિપોર્ટ અનુસાર કોહલીના વર્તનથી નારાજ સીનિયર ક્રિકેટરોએ જય શાહને તેની ફરિયાદ કરી છે. કોહલીના ટી૨૦ ટીમના સુકાનીપદ છોડવાની જાહેરાત બાદ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોહલી રોહિતને ઉપકેપ્ટન પદેથી હટાવવા માગતો હતો. જેને કારણે દબાણમાં આવીને તેને સુકાનીપદ છોડવાની જાહેરાત કરવી પડી. અને હવે રિપોર્ટ અનુસાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનું સન્માન ગુમાવી દીધું છે.

           ટીમના અમુક ખેલાડીઓએ જય શાહને વિરાટ કોહલીની ફરિયાદ કરી હતી. તેઓએ કહ્યું કે, ધોનીના દરવાજા ટીમનાં ખેલાડીઓ માટે ૨૪ કલાક ખુલ્લા રહેતા હતા, પણ ઓફ ફિલ્ડમાં કોહલીનો સંપર્ક કરવો મુશ્કેલ બની ગયો છે. તો બીસીસીઆઈના એક પૂર્વ અધિકારીએ ઓળખ છૂપાવવાની શરતે જણાવ્યું કે, આ સમગ્ર મામલે જય શાહને સૂચના આપવામાં આવી હતી. જે બાદ આ મામલે નારાજ જય શાહે અન્ય અધિકારીઓની સલાહ પણ લીધી હતી. અને અમુક ખેલાડીઓનો સંપર્ક કરીને તેમના સૂચન પણ લેવામાં આવ્યા હતા. બીસીસીઆઈના પૂર્વ અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈ લાંબા સમયથી કોહલી અને શાસ્ત્રીની પાંખો કાપવાની યોજના બનાવી રહ્યું હતું, તે વાત ત્યારે સામે આવી જ્યારે ધોનીને ટી૨૦ ટીમના મેન્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી અને આર. અશ્વિનને ટીમમાં પરત લેવામાં આવ્યો.

            અનુભવી ખેલાડી હોવા છતાં પણ હાલની ટેસ્ટ મેચમાં અશ્વિનને મોકો ન આપવામાં આવતા અધિકારીઓ નાખુશ હતા. આ ઉપરાંત અધિકારીએ એમ પણ કહ્યું કે, કુંબલેને પરત લાવવાની યોજનાથી બોર્ડ દેખાડવા માગી રહ્યું છે કે માલિક કોણ છે. લક્ષ્મણનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. WTC ફાઈનલમાં હાર બાદ કોહલીના વર્તનને લઈને ખેલાડીઓ નારાજ હોવાનું અલગ-અલગ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ટેલિગ્રાફ અખબાર અનુસાર, કોહલી ટીમ પરનું નિયંત્રણ ગુમાવી ચૂક્યો છે. તેણે ખેલાડીઓને તેનું વર્તન પસંદ આવી રહ્યું નથી અને તેણે ખેલાડીઓ વચ્ચે પોતાનું સન્માન પણ ગુમાવી દીધું છે. તે હવે પ્રેરણાદાયક લીડર રહ્યો નથી અને અનેક સમયે તે સાથી ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કરે છે. આ ઉપરાંત WTCની હાર બાદ વિરાટે કહ્યું હતું કે, ખેલાડીઓમાં હવે તે ઈરાદો અને જુસ્સો નથી. જેનાથી પણ ખેલાડીઓ નારાજ છે. તો કોચે જ્યારે વિરાટને બેટિંગને લઈ સલાહ આપી તો વિરાટ કોચ ઉપર પણ ગુસ્સે થઈ ગયો હતો અને કહ્યું હતું કે મને કન્ફ્યુઝ ન કરો.

(9:03 pm IST)