Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વિશ્વકપ મામલે અનેક મુદ્દાઓની સ્‍પષ્‍ટતા કરી છે, ક્યો ખેલાડી ક્યા નંબરે રમશે એ પછી નક્કી કરીશું : વિરાટ કોહલી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટપ્રેમીઓને એ જાણીને ભારે આશ્ચર્ય થશે કે વર્લ્ડ કપ (World Cup 2019)માં ક્યો ખેલાડી ક્યા નંબર પર રમશે એ હજી નક્કી નથી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ વાતનો ખુલાસો કર્યો છે. વિરાટે કહ્યું છે કે તે ટીમથી ખુશ છે અને આ ટીમ બહુ મજબૂત છે પણ તે બેટિંગ લાઇનઅપ માટે બહુ સુનિશ્ચિત નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા વિશ્વ કપ માટે ટીમની ઘોષણા 15 એપ્રિલે કરવામાં આવી છે.

વિશ્વ કપ માટેની ભારતીય ટીમ ઘણા અંશે સ્પષ્ટ છે પણ ચોથા નંબર માટે કેટલીક આશંકા છે. જોકે ક્રિકઇન્ફો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વિરાટ કોહલી આ મામલે પોતાના વિકલ્પો ખુલ્લા રાખવા ઇચ્છે છે. વિરાટ કોહલીએ કહ્યું છે કે વિજય શંકર (Vijay Shankar) ટીમ ઇન્ડિયાને સંતુલન આપે છે પણ તે ક્યાં નંબર પર રમશે એ સ્પષ્ટ નથી.

મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે વિજય શંકર ચોથા નંબર માટે પહેલી પસંદ છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિક પણ આ નંબર માટે બીજો વિકલ્પ છે. જોકે વિરાટ કોહલીએ આ વિશે કહ્યું છે કે અમે વિશ્વકપ મામલે અનેક મુદ્દાઓની સ્પષ્ટતા કરી લીધી છે પણ ક્યો ખેલાડી ક્યા નંબરે રમશે એ પછી નક્કી કરવામાં આવશે.

(5:06 pm IST)