Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

તમામ ૮ ટીમના માત્ર ૧૭ ખેલાડીઓ સ્ટેડિયમમાં જશે

આઈપીએલ શરૂ થતાં પહેલાં નિયમ બદલાયા : જીવલેણ કોરોના મહામારીને અનુલક્ષીને બીસીસીઆઈ અને આઈપીએલ કમિટિ દ્વારા તમામ નિયમોનું પાલન

નવી દિલ્હી,તા.૧૮ : આઈપીએલ ૨૦૨૦ શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં આવું થશે કે ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં જાય, પરંતુ માત્ર સિલેક્ટેડ ખેલાડીઓને જ ટીમ સાથે સ્ટેડિયમ સુધી જવાની મંજૂરી હશે. કોરોના વાયરસની મહામારીને જોતા બીસીસીઆઈ અને આઈપીએલ કમેટીને તમામ નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય. નવી જાણકારી મુજબ, આઈપીએલ ટીમ જ્યારે યુએઈમાં મેચો રમવા માટે હોટલથી સ્ટેડિયમ જશે તો તેમની સાથે તેટલા લોકો જ જઈ શકશે જેઓ હોટલના બાયો-બબલમાં સામેલ હશે. આ લોકોમાં બે વેઈટર્સ પણ હશે. દરેક ટીમ બે બસોમાં ટ્રાવેલ કરશે. ભારતમાં ટીમ એક જ બસમાં ટ્રાવેલ કરતી હતી, પરંતુ કોરોનાના કારણે તેમાં ફેરફાર કરવો પડ્યો છે.

              મેચમાં જે અધિકારીઓ સામેલ હશે તેમને પણ બાયો-બબલમાં રહેવાનું રહેશે. જણાવી દઈએ કે પ્રત્યેક ટીમમાં ૨૨થી ૨૫ ખેલાડીઓનું દળ છે. યુએઈથી કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, મેચના દિવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જશે તો બે બસોમાં માત્ર ૧૭ ખેલાડીઓ અને ૧૨ સપોર્ટ/કોચિંગ સ્ટાફના સદસ્યો હશે. આ ઉપરાંત બે વેઈટર્સ અને બે લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકો હશે. જે લોકો ટીમ હોટલમાં બાયો-બબલનો ભાગ હશે તે લોકો જ ટીમની સાથે બસમાં ટ્રાવેલ કરી શકશે. તમે અહીં બસની માત્ર ૫૦ ટકા કેપેસિટીનો જ ઉપયોગ કરી શકો છો.

(7:20 pm IST)