Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઇએ, સપનાને સાકાર કરવા માટે ૨૨ વર્ષ સુધી પ્રયત્ન કરતા સફળતા મળીઃ સચિન તેંડુલકર

નવી દિલ્હીઃ તે સમય કોઈ ભૂલી ન શકે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 2011માં વિશ્વકપ જીત્યો હતો અને સચિન તેંડુલકરને તેના સાથીઓએ ખભા પર ઉપાડી લીધા હતા. સચિનની આ ક્ષણને પાછલા 20 વર્ષમાં રમતની સર્વશ્રેષ્ઠ ક્ષણ માનવામાં આવી છે. તેના માટે ક્રિકેટના ભવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરિયર સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ 2000-2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે તેંડુલકરે જણાવ્યું કે, વિશ્વકપ જીતવાનું સપનું બાળપણથી હતું અને આ સપનાને સાકાર કરવા તેણે 22 વર્ષ સુધી તેનો પીછો કરવો પડ્યો, પરંતુ તેણે ક્યારેય હાર ન માની. ભારતીય ક્રિકેટ સમર્થકોની વોટિંગથી સચિન તેંડુલકરને સૌથી વધુ મત મળ્યા અને આ એવોર્ડ જીતી ગયા છે.

શું કહ્યું સચિન તેંડુલકરે

એવોર્ડ મળ્યા બાદ આપેલા સ્પીચમાં સૌથી પહેલા સચિન તેંડુલકરે તેમને વોટ આપનાર લોકો અને ત્યાં કાર્યક્રમમાં હાજર લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, 'આવી ઓછી તક આવે છે જ્યારે દેશ સાથે મળીને જશ્ન મનાવે છે અને લોકોના અલગ-અલગ મંતવ્ય હોતા નથી. આ તાકાત છે ક્રિકેટની, જે લોકોને સાથે જોડે છે.'

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, વારં-વાર વિશ્વકપ ન જીતી શક્યા બાદ છઠ્ઠીવારમાં સફળતા હાંસિલ થવા પર તમને કેવું લાગ્યું તો સચિને પોતાના દિલની વાત કહી હતી. તેમણે કહ્યું, 'મારી સફર 1983માં શરૂ થઈ, જ્યારે હું 10 વર્ષનો હતો. તે સમયે ભારતે વિશ્વકપ જીત્યો હતો તો મને ત્યારે તેનું મહત્વ ન સમજાયું. દરેક ઉજવણી કરી રહ્યાં હતા તો હું પણ પાર્ટીમાં સામેલ થઈ ગયો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક મને તે ખ્યાલ હતો કે દેશ માટે કંઇક ખાસ થયું છે. હું પણ એક દિવસ તેનો અનુભવ કરતા ઈચ્છતો હતો અને ત્યાંથી તે શરૂ થયું હતું.'

સચિને વિશ્વકપ જીતવાની તે ક્ષણને યાદ કરતા કહ્યું, 'તે મારી જિંદગીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી, જેનો મેં આશરે 22 વર્ષ સુધી પીછો કર્યો, પરંતુ ક્યારેય આશા ન ગુમાવી. મેં તે ટ્રોફીને મારા દેશવાસીઓ તરફથી ઉઠાવી હતી.' તેમણે પોતાની સ્પીચમાં નેલ્સન મંડેલાનો પણ ઉલ્લેખ કર્યો, જેને તે 19 વર્ષની ઉંમરે મળ્યો હતો. તેમમએ મંડેલાની વાતોમાંથી એક ખાસ વાતનો ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું હતું કે, રમતમાં લોકોને એક સાથે લાવવાની શક્તિ હોય છે.

ધોનીના છગ્ગાથી પૂરી થઈ હતી મેચ

સચિન તેંડુલકરનો તે છઠ્ઠો વિશ્વ કપ હતો, જેમાં એમએસ ધોનીએ શ્રીલંકાના નુવાન કુલસેકરાના બોલ પર છગ્ગો મારીને ટીમને જીત અપાવી હતી. આ જીતથી સચિન તેંડુલકર કેટલા ખુશ હતા, તેનો ઉલ્લેખ તેમણે ટ્રોફી મળ્યા બાદની સ્પીચમાં કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની જિંદગીમાં તે ક્ષણ કેટલું મહત્વ રાખે છે.

(4:48 pm IST)