Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિશ્વકપ ક્રિકેટ મેચની ફાઇનલ કોઇ હાર્યુ નથીઃ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનો દાવો

વેલિંગ્ટનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ ફાઇનલમાં નાટકીય રીતે મળેલા પરાજયમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને મંગળવારે કહ્યું કે, 'ફાઇનલ કોઈ હાર્યું નથી.' પૂર્વ અને હાલના ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નિર્ધારિત સમય અને સુપર ઓવરમાં સ્કોર બરાબર રહ્યાં બાદ ચોગ્ગાની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદથી ક્રિકેટ જગત ''હાસ્યાસ્પદ' નિયમોની સમીક્ષા કરવાની માગ કરી રહ્યું છે. વિલિયમસને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'આખરે કોઈ ટીમ ફાઇનલ ન હારી પરંતુ ટાઇટલ તો એક ટીમને આપવાનું હતું.' હારની ગરિમા સાથે સ્વીકાર કરવા માટે વિલિયમસન અને તેની ટીમની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. તેણે કહ્યું કે, પહેલાથી ટૂર્નામેન્ટના નિયમો ખ્યાલ બધાને હતો.

મેચ બાદ વિલિયમસને આ નિયમ વિશે પૂછવા પર કહ્યું હતું, 'તમે ક્યારેય વિચારી ન શકો કે આવા સવાલ પૂછવામાં આવશે. મેં ક્યારેય વિચાર્યું નહતું કે આવા સવાલના જવાબ આપી.' તેણે કહ્યું, 'તે સ્વીકાર કરવો મુશ્કેલ છે કારણ કે બંન્ને ટીમોએ આ ક્ષણ માટે ઘણી મહેનત કરી હતી.'

તેણે કહ્યું, 'બે પ્રયત્નો બાદ પણ વિજેતા નક્કી ન થઈ શક્યા. ત્યારબાદ જે રીતે થયું, કોઈ ટીમ આમ ઈચ્છશે નહીં.' એક સાચા ખેલાડીની જેમ તેણે આઈસીસીના આ નિયમ પર કોઈ સવાલ ઉઠાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું, 'નિયમ છે તો છે અને ટૂર્નામેન્ટની શરૂઆત છે. કોઈએ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારની મેચ થશે. આ શાનદાર મેચ હતી અને તમામ લોકોએ તેનો આનંદ લીધો હતો.'

(5:04 pm IST)