Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આઇપીઅેલ ક્રિકેટમાં આજે મુંબઇનો પરાજય થાય તો પ્લે ઓફની રેસમાંથી બહાર નીકળી જશેઃ રોહિત શર્માની આગેવાનીમાં મેચ જીતવી જ પડશે

કાનપુરઃ આઈપીએલ 2018માં પ્લેઓફમાં પહોંચવા માટે અંતિમ લડાઈ શરૂ થઈ ચૂકી છે. ચેન્નઈ અને હૈદરાબાદ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ગયા છે. હવે બે ટીમોને ક્વોલિફાય કરવાનું છે, પરંતુ પાંચ ટીમો રેસમાં છે. એવામાં ત્રણ ટીમો બહાર થશે અને બાકીની 2 ટીમોને પ્લેઓફમાં પહોંચી જશે. કરો યા મરોની સ્થિતિવાળી મેચની શરૂઆત બુધવારે વાનખેડેથી શરૂ થઈ જશે. મુંબઈ અને પંજાબની વચ્ચે આ મુકાબલો રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈને કોઈપણ સ્થિતિમાં મેચ જીતવી પડશે, જો આજે મુંબઈ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

આઈપીએલની ઓફિશિયલ વેબસાઈટ પર નજર કરો તો બધી ટીમોની પોઈન્ટ ટેબલમાં શું સ્થિતિ છે તે સ્પષ્ટ થઈ જશે. ચેન્નઈ અને હૈદરાબાદ ઉપરાંત હાલમાં કેકેઆર અને રાજસ્થાન ટોપ 4માં છે, જોકે તેમની સ્થિતિ આવનારી મેચોના પરિણામ પર આધાર રાખશે. 5માં નંબર પર પંજાબ છે, તેના ખાતામાં 12 પોઈન્ટ છે. તો મુંબઈ અને બેંગ્લોર 10-10 પોઈન્ટ સાથે ક્રમશઃ છઠ્ઠા અને સાતમાં ક્રમ પર છે. આ બંને ટીમોને 2-2 મેચો રમવાની છે. જે પણ ટીમ બંને મેચ જીતશે તે પ્લેઓફમાં ક્વોલિફાય કરશે અને હારશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જો કોઈ મેચ ટાઈ અથવા રિઝલ્ટ નથી આવતું તો પછી નેટ રનરેટના આધાર નિર્ણય થશે.

મોટા-મોટા સ્ટાર ખેલાડીઓવાળી મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ 11માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમના ઓપનર સૂર્યકુમાર યાદવ (473) અને એવિન લુઈસ (325), સિવાય અન્ય કોઈ ખેલાડી ખાસ પ્રદર્શન કરી શક્યું નછી. ટીમમાં યુવા સ્પિનર મયંક માર્કંડેય અને મિચેલ મેક્લેઘન જેવો ઝડપી બોલર પણ છે. તેમ છતાં મુંબઈની ટીમની ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળવાની સ્થિતિ આવી ગઈ છે. આઈપીએલના ઈતિહાસ પર નજર નાખીએ તો મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ રહી છે. આ ટીમે 3 વાર આઈપીએલનું ટાઈટલ જીત્યું છે. પરંતુ આ વર્ષે ટીમની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

આઈપીએલ 11માં આગામી એક અઠવાડિયું બધી ટીમો માટે મહત્વપૂર્ણ છે. કઈ ટીમ અંદર જશે અને કઈ ટીમ બહાર જશે, 2મી મે પહેલા ખબર પડી જશે. આ સિઝનના પ્લેઓફ મુકાબલાઓ 22મી મેથી રમાશે. વિરાટની આરસીબી અથવા રોહિતની મુંબઈ, જીત માટે આ કેપ્ટનોએ કોઈ જાદૂ બતાવવો પડશે.

(7:22 pm IST)