Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મેં કોમેન્‍ટ્રેટરની પોસ્ટને હંમેશા સન્માન તરીકે લીધી છે અને અધિકાર તરીકેઃ આ મારા નોકરીદાતાઓ પર છે કે તે મને કામ આપવા ઇચ્છે છે કે નહીં: સંજય માંજરેકરે મૌન તોડ્યુ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં જાણીતા કોમેન્ટ્રેટર સંજય માંજરેકરએ પોતાને બીસીસીઆઈની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવા પર પોતાનું મૌન તોડ્યું છે. ટીમ ઈન્ડિયાના આ પૂર્વ બેટ્સમેનને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે સિરીઝમાં કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય પર ઘણા લોકો ચોંકી પણ ગયા હતા. હવે માંજરેકરે ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે.

જાણવા મળી રહ્યું છે કે બીસીસીઆઈ માંજરેકરના કામથી ખુશ નહતું. માંજરેકરે પોતાના ટ્વીટમાં કહ્યું છે, 'મેં કોમેન્ટ્રેટરની પોસ્ટને હંમેશા સન્માન તરીકે લીધી છે અને અધિકાર તરીકે. આ મારા નોકરીદાતાઓ પર છે કે તે મને કામ આપવા ઈચ્છે છે કે નહીં. હું તેનું હંમેશા સન્માન કરીશ. બની શકે કે બીસીસીઆઈ મારા પ્રદર્શનથી ખુશ ન હોય. એક પ્રોફેશનલ તરીકે હું તેનો સ્વીકાર કરુ છું.'

પાછલા આઈસીસી વિશ્વકપ દરમિયાન માંજરેકર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે થયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે જાડેજાને 'ટુકડા વાળો ક્રિકેટર' કહ્યો હતો. તેના પર જાડેજાએ માંજરેકર પર પલટવાર કરતા તેમના વલણની ટીકા કરી હતી.

આ સિવાય માંજરેકરે એક અન્ય કોમેન્ટ્રેટર હર્ષા ભોગલે પર પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ડે નાઇટ ટેસ્ટ પર કહ્યું હતું કે, ભોગલેને પિંક બોલ વિશે વધુ જાણકારી નથી કારણ કે તેઓ પ્રોફેશનલ ક્રિકેટ ક્યારેય રમ્યા નથી. પરંતુ માંજરેકરે બંન્ને મામલામાં માફી માગી લીધી હતી.

તો આ મામલામાં માંજરેકરના ટ્વીટ પહેલા બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, તેઓ (ભારત-આફ્રિકા) સિરીઝ માટે પેનલનો ભાગ નથી, પરંતુ તેનો અર્થ તે નથી કે તે આગામી સિરીઝમાં નહીં હોય.

(5:04 pm IST)