Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કેદાર ભારતીય ક્રિકેટ ટીમ માટે ઝડપથી ફિટ થઇ જશે પરંતુ પંતની કમી ટીમને અટકશેઃ સૌરવ ગાંગુલી

કોલકત્તા: આઇપીએલ (IPL 2019) સમાપ્ત થતાં જ હવે ક્રિકેટના મહાકુંભ સમા વિશ્વકપ 2019 (ICC Cricket World Cup 2019) નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ વર્લ્ડ કપ માટે સજ્જ થઇ રહી છે. આ દરમિયાન ભારતના પૂર્વ મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના યુવા ખેલાડી ઋષભ પંતને વિશ્વ કપ ટીમમાં ન સમાવાતાં આ મામલે સવાલ ઉઠાવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમને 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવા જઇ રહેલા વન ડે વિશ્વ કપમાં ઋષભ પંતની ખોટ વર્તાશે. પંતને પસંદગી સમિતિએ વિશ્વકપ માટે પસંદ નથી કર્યો.

પંતની બેટીંગથી પ્લેઓફમાં પહોંચી દિલ્હી

ઋષભ પંતે ધમાકેદાર બેટીંગ બતાવતાં દિલ્હીની ટીમ આ વખતે આઇપીએલમાં પ્લેઓફમાં પહોંચી હતી. દિલ્હી કેપિટલ્સ માટે રમતાં પંતે આ વખતે ઉત્કૃષ્ઠ બેટીંગ બતાવી હતી. ગાંગુલી આ વખતે દિલ્હી ટીમના સલાહકાર હતા. ગાંગુલીએ કહ્યું કે, ભારતને વિશ્વ કપમાં પંતની ખોટ વર્તાશે.

ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યું કે, શું પંત ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સમાવવો જોઇએ? તો આ સવાલનો જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો, મને આશા છે કે કેદાર ઝડપથી ફિટ થઇ જશે પરંતુ પંતની કમી ટીમને ખટકશે.

ગાંગુલીએ રોહિતના કર્યા વખાણ

રોહિત શર્માએ રવિવારે મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વખત આઇપીએલ ટ્રોફી અપાવી છે. રોહિતની કપ્તાની અંગે ગાંગુલીએ કહ્યું કે, તે સર્વશ્રેષ્ઠ કેપ્ટન પૈકીનો એક છે. મુંબઇ અને ચેન્નઇ બંને શાનદાર ટીમ છે. દિલ્હીના સફળ સિઝન અંગે ગાંગુલીએ કહ્યું કે, અમે સારૂ કર્યું પરંતુ ફાઇનલમાં પહોંચી શક્યા નહીં.

(4:46 pm IST)