Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભારતે અઢી દાયકા બાદ આફ્રિકામાં વન-ડે સિરીઝ જીતી

ટીમ ઈન્ડિયા ૨૭૪/૭ : આફ્રિકા ૨૦૧માં ઓલઆઉટ : સિરીઝમાં ૪-૧થી આગળઃ મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ શાનદાર (૧૧૫ રન) ફટકાર્યા બાદ ચહલ - કુલદીપ ફરી ઝળકયાઃ ભારતીય પ્રશંસકોએ વિરાટ કોહલીને લગ્નની શુભકામના પાઠવી હતી

પોર્ટ એલિઝાબેથઃ સેન્ટ જયોર્જ પાર્ક ખાતેની પાંચમી વનડેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૭૩ રનથી હરાવીને ૨૬ વર્ષમાં પ્રથમ વખત તેમની ધરતી પર વન ડે સીરિઝ જીતી છે. ભારતે છ વન-ડે મેચની સીરિઝ ૪-૧થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારત કયારેય સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝ જીતી શકયું નહોતું. આ ઉપરાંત પોર્ટ એલિઝાબેથમાં પણ ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત છે. શ્રેણીની છઠ્ઠી અને હવે અંતિમ વન-ડે ૧૬ ફેબ્રુઆરીએ રમાશે.

૨૭૫ રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા વતી હાશિમ અમલાએ સૌથી વધારે ૭૧ રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે ૩૬ અને કેપ્ટન માર્કરામે ૩૨ રનનું યોગદદાન આપ્યું. ભારત વતી કુલદીપ યાદવે ૪ વિકેટ લીધી હતી. ચહલ અને હાર્દિક પંડ્યાને ૨-૨ તથા જસપ્રીત બુમરાહને ૧ વિકેટ મળી હતી. ૧૧૫ રનની ઇનિંગ રમવા બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા સેન્ટ જયોર્જ પાર્ક ખાતેની પાંચમી વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૭૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક ૧૧૫ રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ૧૦ ઓવરમાં નગિડી ભારતીય ટીમ પર ત્રાટકયો હતો અને ૪ વિકેટ લીધી હતી, જેના કારણે ભારત માંડ ૨૭૦ રનનો આંક વટાવી શકયું હતું. એક તબક્કે ભારત ૩૦૦ રનનો સ્કોર વટાવી જાય તેવી શકયતા હતી.

૭.૨ ઓવરમાં ભારતનો સ્કોર ૪૮ રન હતો ત્યારે ટીમ ઈન્ડિયાને શિખર ધવનના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો. ધવને આક્રમક બેટિંગ કરતાં ૨૩ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ૩૬ રન બનાવી રન આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર ૧૫૩ રન હતો. રહાણેના રૂપમાં ભારતને ત્રીજો ફટકો લાગ્યો હતો. રહાણે ૮ રન બનાવી રન આઉટ થયો હતો. રોહિત શર્મા ૧૧૫ રન બનાવી એન્ગિડીની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ હાર્દિક પંડ્યા ૦ રને આઉટ થયો હતો અને ભારતે નિયમિત વિકેટ ગુમાવી હતી.(૩૭.૪)

(11:43 am IST)