Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

એક એવો ખેલાડી જેણે ક્‍યારેય ટી-20 મેચ રમી નથી તે કેવી રીતે ભારતીય બેટ્‍સમેનોનું ફોર્મેટમાં માર્ગદર્શન આપી શકે ? વિક્રમ રાઠોડની પસંદગી સામે યુવરાજસિંહ સવાલો ઉઠાવ્‍યા

નવી દિલ્હી: 2 વખત વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહએ ભારતીય ટીમના બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડ (Vikram Rathour)ની ક્ષમતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે એક એવો ખેલાડી જેણે ક્યારે ટી-20 મેચ રમી નથી તે કેવી રીતે ભારતીય બેટ્સમેનોનું તે ફોર્મેટમાં માર્ગદર્શન કરી શકે છે? અહીં નોંધનીય છે કે વિક્રમ રાઠોડને 2019માં સંજય બાંગડના સ્થાને ટીમ ઇન્ડીયાના બેટ્સમેન કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વિક્રમ રાઠોડને જ્યારે બેટીંગ કોચ બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેમનું નામ ખુબ ચર્ચામાં હતું. સોશિયલ મીડિયા પર આ વાતની સતત ચર્ચા થઇ રહી હતી કે કેવી રીતે તે ખેલાડી જેણે ઇન્ડીયા માટે ફક્ત 6 ટેસ્ટ અને 7 વનડે મેચ રમી હોય, તે કેવી રીતે વિરાટ કોહલી અને રોહિત શર્મા મોટા નામોને કોચ કરી શકશે. આ સાથે જ વિક્રમ રાઠોડનો ટી-20નો કોઇ અનુભવ ન હોવો તેમના માટે મોટો નેગેટિવ પોઇન્ટ છે.

યુવરાજ સિંહે વિક્રમ રાઠોડની આ નબળાઇ વિશે વાત કરતાં કહ્યું કે વિક્રમ રાઠોડને ટી-20 ક્રિકેટની એટલી સમજ નથી કે તે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને તેમની બેટીંગની ખામીઓ બતાવી શકે. યુવરાજે કહ્યું 'વિક્રમ રાઠોડ મારા મિત્ર છે. શું તમને લાગે છે કે તે ટી-20 ખેલાડીઓની મદદ કરી શકે છે. તેણે તે સ્તરની ક્રિકેટ રમી નથી. તેમણે કહ્યું કે હું કોચ હોત તો જસપ્રીત બુમરાહને 9 વાગે ગુડનાઇટ કહી દેત અને હાર્દિક પંડ્યાને રાત્રે દસ વાગે ડ્રિંક્સ માટે બહાર લઇ જાત. અલગ-અલગ લોકો સાથે અલગ અલગ રીતે વર્તતા આવડવું જોઇએ.

વિક્રમ રાઠોડને આડે હાથ લીધા બાદ યુવરાજે હેડ કોચ રવિ શાસ્ત્રીની કોચિંગ પર નિશાન સાધું. જ્યારે યુવરાજને પૂછવામાં કે જો રાઠોડ બેટ્સમેનો સારી રીતે કોચિંગ આપી રહ્યા નથી તો શું શાસ્ત્રીની જવાબદારી નથી કે ટી-20 ક્રિકેટ માટે તૈયાર કરે તો યુવીએ કંઇક આવો જવાબ આપ્યો.

યુવરાજ સિંહે કહ્યું કે તેમને ખબર નથી કે રવિ શાસ્ત્રી એમ કરી રહ્યા છે કે નહી કારણ કે રવિ શાસ્ત્રી પાસે ઘણા બધા કામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડીયા ટેસ્ટ અને વનડે આઇસીસીમાં રેકિંગમાં બીજા ક્રમ પર છે તો બીજી તરફ ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેડ પછી ત્રીજા નંબર પર છે.

(5:34 pm IST)