Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સ્ટાર વિરાટ કોહલી હાલના સમયનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી

કુમાર સંગાકારા અને જયવર્ધનેનો દાવો : રન મશીન વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં સર્વકાલીન મહાન ખેલાડી બનવાની દિશામાં છે : સંગાકારાનો દાવો

નવીદિલ્હી, તા. ૧૨ : શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે છે. સંગાકારાએ કહ્યું છે કે, તે સૌથી મહાન ખેલાડી બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. રન મશીન કોહલી માટે ૨૦૧૮ના વર્ષ જોરદાર રહ્યો હતો. કોહલીએ આ વર્ષમાં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ટેસ્ટ અને વનડે ઇન્ટરનેશનલમાં શ્રેષ્ઠ ખેલાડીનો તાજ જીત્યો હતો. આ ગાળા દરમિયાન ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ બહાર રહ્યા છે. ઇંગ્લેન્ડના રુટને પણ પાછળ છોડવામાં કોહલી સફળ રહ્યો છે. વર્લ્ડ ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાં તે સર્વશ્રેષ્ઠ રહ્યો છે. સંગાકારાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, વિરાટ કોહલી સૌથી અલગરીતે રમી રહ્યો છે. તેને લાગે છે કે, વર્તમાન દોરમાં તે અન્ય ખેલાડીઓ કરતા ખબ આગળ છે. શ્રીલંકાના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કહ્યું હતું કે, તે કહેવા માંગે છે કે, કોહલી જો સર્વકાલીન મહાન ક્રિકેટર નહીં બને તો તે સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં ચોક્કસ સામેલ થશે. ૨૨૨ વનડે મેચોમાં કોહલીએ ૩૯ સદી ફટકારી છે જે અસામાન્ય રેકોર્ડ છે. તે સચિન તેંડુલકરથી પાછળ છે પરંતુ સચિનના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે. સચિન તેંડુલકરે ૪૬૩ મેચોમાં ૪૯ સદી ફટકારી છે. આ ઉપરાંત ૭૭ ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીના નામ ઉપર ૨૫ સદી પણ છે. કોહલી રમત અને તેના દેખાવને જોઈને લાગે છે કે, તે આવનાર દિવસોમાં અનેક નવા રેકોર્ડ સર્જશે. સંગાકારાના પૂર્વ સાથી ખેલાડી જયવર્ધનનેનું કહેવું છે કે, કોહલી જે રીતે ૧૩૦ કરોડલોકોની અપેક્ષા સાથે રમી રહ્યો છે તે જોતા ખુબ જ પ્રશંસનીય બાબત છે. તે આવનાર સમયમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે ઉભરી આવશે.

(7:41 pm IST)