Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અમદાવાદનો ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ આ અઠવાડિયે લગ્નના બંધને બંધાઇ જશે

અમદાવાદઃ ભારતીય પેસર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં રમી શકશે નહીં. બુમરાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રજા માટે રિક્વેસ્ટ કરી હતી. જેને બોર્ડે માની લીધી છે. તેણે આ રજા માટે ખાનગી કારણનો હવાલો આપ્યો છે. આ અંગે અટકળો કરવામાં આવી રહી હતી કે તેને ઈજા થઈ હશે. પરંતુ હવે અલગ જ મામલો સામે આવ્યો છે.

બીસીસીઆઈના અધિકારીએ આપી માહિતી:

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે બુમરાહે પોતાના લગ્નની તૈયારીઓ માટે રજા લીધી છે. આશા છે કે આ અઠવાડિયે તેના લગ્ન છે. અધિકારીએ જણાવ્યું કે બુમરાહ આ અઠવાડિયે લગ્ન કરી શકે છે. તેણે તૈયારીઓ માટે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાંથી દૂર થવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેના લગ્ન કોની સાથે અને ક્યારે થવાના છે તેની જાણકારી નથી. બીસીસીઆઈ તરફથી શનિવારે નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિગત કારણોથી બુમરાહ ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ નહીં રમે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પ તરીકે કોઈ ખેલાડીને સામેલ નહીં કરે.

વન-ડે સિરીઝમાંથી પણ થઈ શકે છે બહાર: 

બોર્ડે સ્પષ્ટ કર્યુ કે અંતિમ ટેસ્ટ માટે બુમરાહના વિકલ્પ તરીકે કોઈ અન્ય ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ માટે જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં આવ્યો નથી. આ સિવાય વન-ડે સિરીઝમાં પણ તે ભારતીય ટીમમાંથી બહાર રહી શકે છે. ભારતીય ટીમ આ વર્ષે ઘણી બિઝી રહેશે. એવામાં બુમરાહ માટે અત્યાર સિવાય બીજો કોઈ સમય નીકળી શકે તેમ ન હતો. કેમ કે ઈંગ્લેન્ડ સામે સિરીઝ પછી ભારતીય ખેલાડી આઈપીએલમાં વ્યસ્ત થઈ જશે. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ થવાની છે. સાથે જ આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડકપ પણ થવાનો છે.

27 વર્ષીય ઝડપી બોલર અમદાવાદ ડે-નાઈટ ટેસ્ટમાં ભારતની ટીમમાં હતો પરંતુ પહેલા દિવસથી સ્પિનને મદદ મળતાં તેણે પહેલા દાવમાં માત્ર 6 ઓવર જ ફેંકી હતી. બુમરાહે ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં બે ટેસ્ટ મેચમાં 4 વિકેટ ઝડપી અને માત્ર 48 ઓવર જ બોલિંગ કરી. તેને ટીમના વર્કલોડ મેનેજમેન્ટ તરીકે ચેન્નઈમાં બીજી ટેસ્ટ મેચમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. ભારત ચાર મેચની સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં રમવા માટે ભારતે ચોથી ટેસ્ટમાં હારથી બચવું પડશે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

(4:45 pm IST)