Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

૨૦૧૧ વર્લ્ડકપમાં બે પાક ક્રિકેટર્સે નેહરાની મદદ કરી હતી

આશિષ નેહરાની સેમિફાઈનલમાં ૩૩ રન આપી બે વિકેટ :પાકિસ્તાની ક્રિકેટર્સ શાહિદ આફ્રિદી અને અખ્તરે ૨૦૧૧ વર્લ્ડકપ સેમિફાઈનલની ટિકિટ અપાવવામાં તેની મદદ કરી હતી

નવી દિલ્હી, તા. ૨ : આશિષ નેહરાએ ખુલાસો કર્યો કે, પાકિસ્તાની ક્રિકેટર્સ શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તરે ૨૦૧૧ વર્લ્ડ કપ સેમિફાઈનલની ટિકિટ અપાવવામાં તેની મદદ કરી હતી. ડાબોડી ફાસ્ટ બોલર નેહરા તે મેચમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેને પોતાના પરિવારના કેટલાક સભ્યો માટે ટિકિટની જરૂર હતી. આ મેચ એટલી મોટી હતી અને તેના માટે જબરદસ્ત માહોલ બનેલો હતો એટલે નેહરા માટે વધારાની ટિકિટની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. પણ મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આ મેચની ટિકિટો માટે તેની મદદ કરી શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તર. આ બંને પોતાનું સેલિબ્રિટી કાર્ડ રમ્યા અને આખરે નેહરાને કેટલીક એક્સ્ટ્રા ટિકિટ મળી ગઈ.

નેહરાએ વિઝડનના એક પૉડકાસ્ટમાં કહ્યું કે, તે ગજબનો માહોલ હતો. દુનિયાભરના લોકો એ આશાએ ચંડીગઢ પહોંચી ગયા હતા કે, કોઈ રીતે તેમને સેમી ફાઈનલ જોવા મળી જશે પણ આ મેચ એટલી મોટી હતી કે, મોટી સંખ્યામાં લોકોને પાછું જવું પડ્યું હતું.

નેહરાએ કહ્યું કે, 'બધું ખૂબ જલ્દી થયું. માત્ર ત્રણ દિવસ પહેલા એ નક્કી થયું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાશે. મેં આના પહેલા આવું કંઈ જોયું નહોતું. ચંડીગઢમાં બહુ ફાઈવ સ્ટાર હોટલ્સ નહોતું, એક માઉન્ટ વ્યૂ હોટલ હતી અને ટીમો તાજમાં રોકાઈ હતી. મેં જોયું કે લોકો અમેરિકા અને ઈંગ્લેન્ડથી આવ્યા હતા અને તેમની પાસે ટિકિટ નહોતી.'

તે મેચમાં ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપરાંત પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની પણ મેચ જોવા આવ્યા હતા. નેહરાને ખબર પડી કે, પાકિસ્તાનથી આવેલી ખાસ હસ્તીઓ અને અન્ય દેશોથી આવેલા લોકોને કારણે ચંડીગઢની હોટલોમાં જગ્યા જ નહોતી બચી. હાલત એવી હતી કે, મુખ્ય સિલેક્ટર કૃષ્ણમચારી શ્રીકાંતને પણ રૂમ નહોતો મળ્યો.

નેહરાએ સેમી ફાઈનલમાં નેહરાએ ૩૩ રન આપીને બે વિકેટ લીધી હતી અને ભારત પાકિસ્તાનને ૨૯ રનથી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું. આ પાંચમી વખત હતું જ્યારે ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. નેહરાએ કહ્યું કે, તે રહ્યો કે, તે પોતાના દોસ્તો અને પરિવાર મટે ટિકિટની વ્યવસ્થા કરી શક્યો.

નેહરાએ કહ્યું, 'ભારત માટે આ શાનદાર મેચ રહી હતી પણ દંગ કરી દેનારી વાત એ હતી કે, લોકો હોટલની બહાર ઊભા હતા અને તેમની પાસે ટિકિટ્સ નહોતી. સાચું કહું તો હું નસીબદાર હતો કારણ કે, મારી પાસે એક્સ્ટ્રા ટિકિટ હતી જે મને પાકિસ્તાની કેમ્પમાંથી મળી હતી. મેં શાહિદ આફ્રિદીનેકહ્યું કે મારે બે ટિકિટ જોઈએ છીએ અને તેણે મને આપી દીધી. પછી મેં શોએબ અખ્તર પાસેથી બે ટિકિટ લીધી. વકાર યૂનુસ કોચ હતા. તો ૩૦ ખેલાડીઓમાં સૌથી વધુ ટિકિટો કદાચ મારી પાસે હતી.'

(8:04 pm IST)