Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

આઈપીએલમાંથી સન્યાસ લેવાની કોઇ ઇચ્છા નથી : એમએસ ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો રહીશ : એમએસ ધોનીઃ એમએસ ધોની માટે અત્યાર સુધીની સૌથી ખરાબ આઈપીએલ છે એમએસ ધોનીએ ૨૫ની સરેરાશ સાથે માત્ર ૨૦૦ રન જ કર્યા છે

નવી દિલ્હી, તા. ૧ : ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ (આઇપીએલ ૨૦૨૦) દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબજ ખરાબ રહેતા કેન્ટન ધોનીની આગેવાની હેઠળની ટીમ પહેલીવાર પ્લેઓફમાં ક્વોલિફાઈ ન કરી શકી. ચેન્નાઈ સુપરકિંગ્સની નાકામી વચ્ચે આફવાઓ ચાલી હતી કે આ ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. એવું કહેવામાં આવતું હતું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહેનાર ધોની હવે આઈપીએલને પણ બાય બાય કરી શકે છે. પરંતુ આવું થયું નહીં. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ સીએસકેની છેલ્લી મેચમાં ધોનીએ જાહેરાત કરી દીધી કે તેઓ આઈપીએલમાં રમતા રહેશે. અને અત્યારે આઈપીએલમાંથી સન્યાસ લેવાનો તેમનો કોઈ ઈરાદો નથી.

એમએસ ધોનીએ જ્યારે આઈપીએલ ૨૦૨૦માં છેલ્લી વખત ટોસ કરવા માટે આવ્યા તો કમેન્ટેટર ડેની મોરિસને પૂછ્યું કે શું તમે પીળી જર્સીમાં છેલ્લી આઈપીએલ મેચ રમશો? આ અંગે ધોનીએ સીધો જવાબ આપ્યો હતો કે બિલકુલ નહીં, આ મારી પીળી જર્સીમાં છેલ્લી મેચ નથી. ઉલ્લેખનીય છે કે આના પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ પણ કહ્યું કે ધોની આગામી સિઝનમાં ચેન્નઈ સુપરકિંગ્સની કેપ્ટનશિપ કરતા દેખાશે.

ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીના સંન્યાસની અટકળો એવા સમયે શરુ થઈ જ્યારે દર મેચ પછી ખેલાડીઓે પોતાની જર્સી આપતા દેખાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ ધોની પાસેથી તેમની આઈપીએલ જર્સી લીધી હતી.

ત્યારબાદ ધોનીનું પ્રદર્શન પણ આ અટકલોનું કારણ છે. ધોની માટે આ અત્યાર સુધીની સૌથી ખરાબ આઈપીએલ છે. ધોનીએ અત્યાર સુધી માત્ર ૨૫ની સરેરાશથી માત્ર ૨૦૦ રન જ ફટકાર્યા હતા. આ સાથે જ તેમનો સ્ટ્રાઈક રેટ પણ ૧૧૬.૨૭ રહ્યો છે.

ધોનીએ આ સીજનમાં સૌથી ઓછી ૭ સિક્સ લગાવી છે. ૨૦૧૫માં આ પહેલો મોકો છે જ્યા ધોની આખી આઈપીએલ સિઝનમાં એક પણ મેન ઓફ ધ મેચ ન જીતી શક્યા.

(8:28 pm IST)