ગોંડલના હડમતાળા ગામના પાટીયા પાસે રેલવે ટ્રેક પર ટીખળખોરોએ પથ્થર મુકયા
ઘટનાને લઇ ટ્રેનને દસ મિનિટ મોડી કરાઇ : રેલવે પોલીસ, કોટડા પોલીસ તેમજ જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૧ : કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા ગામ પાસે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો મૂકી ટીખળ કરતા અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટીને દસ મિનિટ રોકવી કરવી પડી હતી. ઘટનાને પગલે પોલીસ તંત્રમા દોડધામ મચી જવા પામી હતી.
રેલવે ટ્રેક પર પથ્થરો મુકવાની ઘટના અંગે રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હડમતાળા પાસે કેટલાક ટીખળખોરો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થરો મૂકવામાં આવ્યા હોય જેની જાણ રેલવે પોલીસને થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો તાલુકા પોલીસ પણ દોડી આવી હતી તેમજ જિલ્લા પોલીસને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા તાકીદે ટ્રેક પરથી પથ્થરો દૂર કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી ઘટનાને પગલે અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટી ટ્રેન ને દસ મિનિટ થંભાવી દેવાની ફરજ પડી હતી.હડમતાળા જી.આઈ.ડી.સી પાસે ઘણા કારખાનાઓ આવેલ હોય નાના બાળકો દ્વારા ટીખળ રૂપે પથ્થરો મૂકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાઈ રહ્યું છે.(૨૧.૧૯)