માણેકવાડામાં માલબાપા મંદિરને જોડતો માર્ગના નવીનીકરણને લઇ તંત્રની ઢીલીનીતિ
પેટા કોન્ટ્રાકટ અપાઇ ગયો સર્વે પણ થઇ ગયો પરંતુ કામ ન જ થયું
(કમલેશ જોષી દ્વારા) કેશોદ ,તા. ૩૧: કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપા મંદિર જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યોં છે.અને મંજુર થઈ ગયો હોવા છતાં કામગીરી શરૂ ન થતા ભારે રોષ જોવા મળી રહ્યોં છે.માલબાપા મંદિર જતા માર્ગ પર ગ્રામજનો પણ અવર-જવર કરી રહ્યાં છે.પણ છેલ્લા કેટલાક સમયથી સમારકામ કરવામાં ન આવતાં ખાડા પડી ગયા છે.આ પ્રશ્નને લઈ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા તુરંત સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.અને જે તે કંપનીને કોન્ટ્રકટ પણ અપાઈ ગયો છે જેમને પણ આશરે ૨ મહિનાનો સમય નીકળી ગયો છે.છતાં તેમના દ્વારા આજદિન સુધી કોઈ જ કામગીરી કરવામાં ન આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.વહેલીતકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી છે.
આ માર્ગ પર ૧૦૦ વર્ષ જૂનો પુલ છે જે આજે પણ અડીખમ ઉભો છે જયારે ૫ વર્ષ પહેલાં બનેલા ફોરટ્રેક પરના પુલમાં ગાબડું પડી ગયું હતું