સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

ભુજના પૂર્વ નગરપતિ રસિકભાઇ ઠક્કરની ૧૦મી પુણ્યતિથી નિમિતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૩૦: ભુજના પૂર્વ નગરપતિ, લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સ્વ.રસિકભાઈ ઠકકરની ૧૦મી પૂણ્યતિથી નિમિતે રાજયના સીનીયર મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વ.રસિકભાઈ ઠકકરના પરિવારની ઘરે જઈને મુલાકાત લીધી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મંત્રીશ્રીએ રસિકભાઈ ઠકકરની પ્રતિમા પાસે જઈ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ તબકકે સ્વ.રસિકભાઈ ઠક્કરને યાદ કરતા ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જનસંઘથી ભારતીય જનતા પાટીંની સફરમાં પાયાના પથ્થર અને મારા મિત્રને શ્રધ્ધાંજલી આપતા હું ખૂબ ભાવુક છું. તેમની સાથે કરેલા કામોની યાદ આજે પણ ભુલાય તેમ નથી.

ભુજ નગરપાલિકા તેમજ પરિવાર દ્વારા સ્વ.રસિકભાઈ ઠકકરની પ્રતિમા પાસે શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો એક કાયક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરિવાર વતી ઉપસ્થિત લોકોને માસ્ક વિતરણ, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ, નાના ભુલકાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. રસિકભાઈ ઠકકરની યાદમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓની ઠકકર પરિવાર વતી ફી ભરી આપવામાં આવી હતી.

સ્વ.રસિકભાઈને શ્રધ્ધાંજલી અર્પતા પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ભુજના નગરપતિ તરીકે કરેલી રસિકભાઈની કામગીરી લોકો આજે પણ ભુલ્યા નથી. ધરતીકંપ વખતે સ્મશાનમાં પણ કરેલી કામગીરીં લોકો ભૂલ્યા નથી. હું ભુજના નગરજનો વતી સ્વ.રસિકભાઈ ઠકકરને શ્રધ્ધાસુમન અપણ કરું છું.

આ કાર્યક્રમમાં કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, કચ્છના કુંવર શ્રી ઈન્દ્રજીતસિંહ જાડેજા, નગરસેવકો અજયભાઈ ગઢવી, સુશીલાબેન આચાર્ય તેમજ અવિનાશભાઈ ભટ્ટ, શુભાષભાઈ, બાલકૃષ્ણભાઈ, જયંતભાઈ ઠકકર, કલ્પેશભાઈ ઠકકર, મંદાબેન પટણી, જગદીશભાઈ ઠકકર, દિલીપભાઈ ઠક્કર, દિપેશભાઈ સી. ઠક્કર, ભાવેશભાઈ ઠકકર, બિહારીભાઈ ઠકકર ઉપસ્થિત રહયા હતા.

સ્વ.રસિકભાઈ ઠકકરના પરિવારમાંથી રાજુલાબેન ઠકકર, પીયુષભાઈ ઠકકર, કૃપાબેન ઠકકર, વરૂણભાઈ ઠકકર, કાવ્યા ઠકકર, દધિચી ઠકકર ઉપસ્થિત રહયા હતા જયારે પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોનું ઘનશ્યામ ઠકકરે આભાર માન્યો હતો.

(11:47 am IST)