સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

દિવ્યાંગ તલાટીની દીર્ઘદ્રષ્ટિ : તાલાલાનાં પીખોરા ગામમાં હજારો વૃક્ષો વાવીને બનાવ્યું નંદનવન

દિવ્યાંગ હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે વફાદાર : ગામને પાણીદાર બનાવ્યા બાદ પ્રકૃતિના જતન કરાયું : કોરોનામાં અહીં કોઈ ન હતું બેરોજગાર પ્રથમ વરસાદે જ આ તળાવ ભરાઈ જતા વિસ્તાર પાણીનાં તળ ઊંચા આવતા શ્રમજીવીઓની સાથે ખેડૂતો માટે પણ આ તળાવ આશીર્વાદરૂપ બન્યું

ગીર સોમનાથ :ગીર સોમનાથનાં એક દિવ્યાંગ તલાટી જગદીશભાઈ વાઢેળે સાર્થક કરી બતાવી છે. ગીરનાં તાલાળાતાલુકાના પીખોર ગામના તલાટીએ ગામમાં તળાવ બનાવ્યું તો તળાવ કાંઠે હજાર વૃક્ષોનું વાવેતર કરી ગામને નંદનવન બનાવ્યું છે. ચોતરફ હરિયાળી લહેરાઈ રહી છે અને તળાવ પણ છલોછલ પાણીથી ભરાઇ ગયું છે. કોરોનાં મહામારીને કારણે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રોજગારી બંધ હતી મજૂર વર્ગ મૂંઝવણમાં હતો, પોતાનું અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે પ્રશ્ન હતો. ત્યારે ગત ઉનાળાનાં કપરા દિવસો દરમિયાન તાલાળા તાલુકાનાં પીખોર અને ગુંદાળા ગામનાં શ્રમજીવીઓને ઘરેબેઠા આજીવિકા પ્રાપ્ત થાય તે માટે ગામના તલાટી મંત્રીએ સરકારની યોજના મુજબ જાહેરાત કરી અને 16 લાખ રૂપિયાનાં ખર્ચે તળાવનું 1 હેકટર જમીનમાં નિર્માણ થયું. આ તળાવ બનાવવામાં પીખોર અને ગુંદાળા ગામનાં શ્રમજીવી પરિવારને 100 દિવસની આજીવિકા પણ મળી હતી. પ્રથમ વરસાદે જ આ તળાવ ભરાઈ જતા વિસ્તાર પાણીનાં તળ ઊંચા આવતા શ્રમજીવીઓની સાથે ખેડૂતો માટે પણ આ તળાવ આશીર્વાદરૂપ બન્યું છે.

ગ્રામસભામાં નક્કી તો કરી નાખ્યું કે પીખોર ગામમાં પાણી સમસ્યા રહે છે અને જેથી તળાવ બનાવવું છે અને એ પણ મનરેગા હેઠળ!. પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે મજૂરી પર નિર્ભર ગામ હોવા છતાં ગામમાંથી માંડ માંડ 30-35 લોકો તળાવના ખોદ કામ માટે આવ્યા હતા. જોકે બાદમાં આ તમામ લોકોને યોગ્ય સમયે મહેનતનું મહેનતાણું મળી જતા ગામમાંથી 370 લોકો તળાવના ખોદ કામ માટે આવ્યા હતા. આખરે દિવ્યાંગ તલાટીની મહેનત રંગ લાવી અને તળાવ તૈયાર થયું હતું

ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી ધારે તો કેવી કમાલ કરી શકે તેનો ઉત્તમ નમૂનો તાલાળાનાં પીખોર ગામમાં જોવા મળ્યો છે. આ ગામમાં દિવ્યાંગ તલાટીએ ગ્રામજનોને રોજગારી અને તળાવ અપાવ્યું છે. સાથે તળાવની આસપાસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર પણ કર્યું અને તેને ઉછેરવા માટે ગામના લોકો પાસે સંકલ્પ પણ લેવડાવ્યો છે

(11:56 pm IST)