પેપર લીક મુદ્દે જુનાગઢમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૩૧ : ABVP જુનાગઢ જીલ્લા દ્વારા સપર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાનો વિરોધ કરી જુનાગઢ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૧૯૪૯ થી શિક્ષા ક્ષેત્રમાં કાર્યરત વિશ્વનું સૌથી મોટુ છાત્ર સંગઠન છે. ગુજરાત સરકારનું વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફ્ળ સાબીત થયું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની સપર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થવાથી વિદ્યાર્થીઓના ભાવી ઉપર પ્રશ્ન ઉભા થયાં છે. પરીક્ષા મૌફુકની આ જાહેરાત લાખો વિદ્યાર્થીઓના ભાવી અને ભાવનાઓ સાથેના ચેડાં છે.
ABVP હમેંશા કહેતું આવ્યું છે પેપરલીક ની આ ઘટનાઓ વિદ્યાર્થીઓના પ્રશાસન ઉપરના વિશ્વાસને તોડે છે જેથી જવાબદારી અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. ABVP જુનાગઢ જીલ્લા દ્વારા પેપર લીક ની ઘટનાનો વિરોધ કરી ૨૪ કલાકમાં નવી પરીક્ષાની તરીખ જાહેર કરવામાં આવે, ૨૦ દિવસમાં ફરી પરીક્ષા લેવામાં આવે, પરીક્ષાર્થીઓ માટે આવશ્યક વ્યવસ્થાઓ, યાત્રા, નિવાસ, ભોજન, ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે, પેપર લીક કૌભાંડ પર SITની રચના કરવામાં આવે તેમજ જવાબદાર ઉપર રાજદ્રોહ નો ગુનો લગાવી કાર્ય કરવામાં આવે. આવા વિવિધ મુખ્ય મુદ્દાઓને લઈને abvp જૂનાગઢ દ્વારા કલેક્ટરના માધ્યમ થી મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું હતું.
ઉપરોક્ત પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો abvp દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પેપર લીક કૌભાંડના વિરોધ પ્રદર્શન તેમજ આવેદન પત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ મુકેશવાઘેલા-જુનાગઢ)