ગોંડલમાં ઝેરી દવા પી લેનાર વીરા માવલીયાએ રાજકોટમાં દમ તોડયો
બે મહિનાથી ચિંતામાં રહેતો હોવાનું પરિવારજનોનું તારણ
રાજકોટ તા.૩૦ : ગોંડલની શીવ પુજા સોસાયટીમાં રહેતા યુવાને ઝેરી પાઉડર પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજયુ હતુ.
મળતી વિગત મુજબ ગોંડલના શીવપુજા સોસાયટીમાં રહેતો વીરા લાખાભાઇ માવલીયા (ઉ.વ.૧૯)એ ચાર દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી પાઉડર પી લેતા તેને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. મૃતક વીરા માવલીયા બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના પિતા રીક્ષા ચલાવે છે. તે મજુરીકામ કરતો હતો. તે બે મહિનાથી ચિંતામાં રહેતો હોવાનુ તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકનાં હેડ કોન્સ. મુકેશભાઇ ચરમટા અને રાઇટર રાણાભાઇ મોરીએ પ્રાથમીક કાગળો કરી ગોંડલ મોકલવા તજવીજ હાથ ધરી છે.