સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયની કામગીરી પૂરજોશમાં

૪ હજાર ભાવિકો એક સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જમી શકશે

વાંકાનેર, તા.૩૦: જગ વિખ્યાત સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે ગુજરાતનું સૌથી મોટુ શ્રી કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલયનું કામ પૂરજોશમાં ચાલુ છેઃ ચાર ડાઇનિંગ હોલ સાથે ટેબલ ખુરશીમાં ભાવિકો પ્રસાદ લેશેઃ ૪૦૦૦ ભાવિકો એકી સાથે ડાઇનિંગ ટેબલ ઉપર જમી શકશે.

સાત વિદ્યા જમીનમાં બનતાં આ ભોજનાલયમાં એક સાથે ૪ હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ઘાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે, તેમાં ગેસ, અગ્નિ કે ઇલેકિટ્રસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં ૧૬૦થી વધુ કારીગરો દિવસનાં ૨૦-૨૦ કલાક સુધી કામ કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે કષ્ટભંજન દેવ મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી સાથે અને ભોજનાલયની ડિઝાઈન બનાવનારા આર્કિટેકટ પ્રકાશભાઈ ગજ્જર સાથે ખાસ વાતચીત કરી હતી.

નવું ભોજનાલય કેમ બનાવવું પડ્યું?

આ અંગે વાત કરતાં શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું કે, 'અત્યારે મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું છે. જેમાં નિઃશુકલ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ઘાળુઓ આવે છે. જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે. શ્રદ્ઘાળુઓને તકલીફ ના પડે એટલે, મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું. આ નવું ભોજનાલય અંદાજે ૩૫ થી ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે.

ભોજનાલયની શું વિશેષતા છે?

ભોજનાલયની વિશેષતા અંગે આર્કિટેકટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું કે, 'આ ભોજનાલય ૭ વિદ્યામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે ૨ લાખ ૩૦ હજાર સ્કવેર ફૂટનું થશે અને ભોજનાલય કુલ ૨૫૦ કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ઘાળુઓની વધુ ભીડ ના થાય એટલે ૭૫ ફૂટ પહોળા પગથિયા બનાવવામાં આવશે, પગથિયાંઓની વચ્ચે વૃદ્ઘો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડુ રાખશે. એટલે કે, બહારથી દીવાલો ગરમ થઈ હશે તો પણ અંદરનું તાપમાન નીચું રહેશે.

આર્કિટેકટ પ્રકાશભાઈ ગજ્જરે કહ્યું કે, 'ભોજનાલયમાં કુલ ૪ ડાઇનિંગ હોલ છે. જેમાં જનરલ ડાઇનિંગ હોલ ૧૧૦*૨૭૮ ફૂટનો છે અને તેમાં એક સાથે ૪૦૦૦ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ ૮૫ રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન ૬૦*૧૦૦ ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે ૧૫ ફૂટની જગ્યા રાખવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.

રસોઈ બનાવવા માટે મંદિરમાં ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થશે

આ અંગે વાત કરતાં આર્કિટેકટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું કે, 'અત્યારે જૂના ભોજનાલયમાં વર્ષ ૨૦૧૭થી ઓઇલ બેસ્ડ ટેકનોલોજીથી રસોઈ તૈયાર થઈ રહી છે. એટલે કે, આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેકિટ્રસિટીનો ડાયરેકટ ઉપયોગ થતો નથી. ઓઇલ બેસ્ડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઇલ ટેન્ક હોય છે. જેની અંદર ભરેલું ઓઇલ ખાસ પ્રકિયા દ્વારા નક્કી કરેલાં ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછી તે ઓઇલ કિચનમાં આવે છે. જે ડબલ લેયરના ફિકસ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. જેને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઇલેકિટ્રસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાય છે.

(11:25 am IST)