ધોરાજીમાં આગ લાગતા પત્નિને બચાવવા જતા પતિ પ્રફૂલભાઇ દાઝયા : મોત
પાંચ દિવસ પહેલા બનાવ : પ્રૌઢે રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો
રાજકોટ તા. ૩૦ : ધોરાજીમાં રસોઇ બનાવતી વખતે આગ લાગતા પત્નિને બચાવવા જતા પતિ દાઝી જતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ ધોરાજીના તેજાબાપાના પીપળા પાસે રહેતા હર્ષાબેન પ્રફૂલભાઇ દોમડીયા પાંચ દિવસ પહેલા પોતાના ઘરે રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક ગેસનો બાટલો લીક થતા આગ લાગતા પત્નીને સળગતા જોઇ પતિ પ્રફૂલભાઇ તેને બચાવવા જતા તે પણ દાઝી ગયા હતા બાદ બંનેને સારવાર માટે ધોરાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ પ્રફૂલભાઇને વધુ સારવાર માટે મેડીસર્જ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડયા તથા રાઇટર ઘનશ્યામસિંહએ પ્રાથમિક કાગળો કરી ધોરાજી મોકલવા તજવીજ હાથ ધરી છે. પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.