ઉપલેટા ભાદર નદીના કાંઠે યુવકનો મૃતદેહ મળ્યો
(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા.૩૦: શહેરના પાટણવાવ રોડ પર આવેલ ભાદર અને મોજ નદીનું જયાં સંગમ થાય છે એવા પંચેશ્વર મહાદેવના મંદિરથી માત્ર ૨૫ ફૂટ જ દૂર એક યુવકનો મૃતદેહ પડયો હતો. જયારે મંદિરના પુજારીના પત્ની દૂધ લેવા માટે નીકળતા મૃતદેહ પડેલો જોઈ બૂમાબૂમ કરી મૂકતા મંદિરના પૂજારી દોડી આવેલ અને ઉપલેટા પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી તપાસ કરતા યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ નીકળેલ જે યુવક મેલી મજેઠી ગામનો વાઢેર વિરાજકુમાર સોમાભાઈ વણકર હોવાનું જાણવા મળેલ. યુવકનાં મૃતદેહની બાજુમાં જ મોનોક્રોટોફોસ નામની ઝેરી દવાની ખાલી શીશી પણ ઢાંકણું ખોલેલી મળી આવેલ. પોલીસ દ્વારા તેના સગા સંબંધીઓને જાણ કરતાં તેના પરિવારજનો દોડી આવેલ હતા. જાણવા મુજબ નાનપણમાં જ મૃતકના માતા-પિતાનું મૃત્યુ થયેલ અને તલંગણા ગામે તેના મામાને ઘરે ઉછરીને મોટો થયેલ. હાલ તે તેના મેલી મજેઠી ગામે તેના પરિવારજનો સાથે રહેતો યુવકને શા માટે આત્મહત્યા કરવી પડી ? કયા કારણથી આ પગલું ભર્યું ? વગેરે બાબતની આત્મહત્યાની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. જમાદાર ભુપેન્દ્રભાઈ સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.