જુનાગઢમાં સરાજાહેર પરિણીત પ્રેમિકાની ઝનુનથી હત્યા કરનાર પૂર્વ પ્રેમી પાસેથી છરી કબ્જે
પ્રેમિકાની હત્યા કર્યા બાદ હત્યા કરનાર સ્થળ પર જ બેસી રહ્યોઃ વેપારીને કહ્યું ''પોલીસને ફોન કરો''
જુનાગઢઃ તસ્વીરમાં મહિલાનો મૃતદેહ, પોલીસ ટીમ તથા આરોપી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
જુનાગઢ તા. ૩૦: જુનાગઢનાં દોલતપરામાં સરાજાહેર પરિણીત પ્રેમિકાની ઝનુનથી હત્યા કરનાર પૂર્વ પ્રેમી પાસેથી પોલીસે છરી પણ કબ્જે કરી લીધી છે.
જુનાગઢનાં દોલતપરા સ્થિત જીઆઇડીસી-બેમાં રહેતી ભાવનાબેન સોનુ ગોસ્વામી (ઉ.વ. ર૬) નામની પરિણીતા ગઇકાલે સાંજે નજીકમાં શાકભાજી લેવા ગઇ હતી.
ત્યારે લાઠી ખાતે રહેતો પૂર્વ પ્રેમી, સંજય પ્રવીણ ગોસ્વામીએ ધસી આવીને ભાવના ઉપર છરી વડે તુટી પડયો હતો છરીનાં ૧૦ જેટલા ઘાથી ભાવના લોહીલોહાણ થઇ ગઇ હતી.
પ્રેમિકાની હત્યા બાદ સંજય સ્થળ પર જ બેસી રહ્યો હતો અને તેણે વેપારીને કહેલ કે, પોલીસને ફોન કરો.
આ અંગેની જાણ થતાં એ ડીવીઝનનાં ઇન્ચાર્જ પી.આઇ. જે. પી. ગોંસાઇ, પીએસઆઇ વી. આર. ચાવડા દોડી ગયા હતા અને સંજયની અટકાયત કરી હતી.
ભાવનાબેનની હત્યા સબબ પોલીસે તેણીના બગસરા ખાતે રહેતા ભાઇ ભરત ભોવાનભાઇ શેખ (કોળી) ની ફરિયાદ લઇ સંજય પ્રવીણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી છરી પણ કબજે કરી હતી.
મૃતક ભાવનાના પ્રથમ લગ્ન ધારીમાં થયેલ. જેનાથી તેને પુત્ર અને બે પુત્રી થયા હતા. પરંતુ પ્રથમ પતિથી છુટાછેડા લીધા બાદ ભાવના બગસરામાં સંતાનો સાથે રહતી હતી. તેને જુનાગઢ જીઆઇડીસીમાં કામ કરતા કાનપુરનાં સૌનુ ગોસ્વામી સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ૯ મહિના અગાઉ સિવીલ મેરેજ કરેલ.
દરમ્યાન સાત વર્ષથી સંજય અને ભાવના પણ પ્રેમમાં હતા. આથી સંજયને લાગી આવતા તેણે પૂર્વ પ્રેમિકા ભાવનાની હત્યા કરી નાંખી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.