વિંછીયામાં ઓડ-ઇવન પ્રશ્ને નાના વેપારીઓની મંત્રીશ્રી બાવળીયાને રજુઆત
વિંછીયા, તા. ૩૦ : વિંછીયામાં નાના-મધ્યમ વેપારીઓને મુંઝવતા ઓડ-ઇવન (એકી-બેકી) સહિતના વિવિધ પ્રશ્ને કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાને રજૂઆત કરાતા સ્થળ પર જ આ પ્રશ્નોનો સુખદ હલ આવતા નાના-વેપારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.
લગભગ બે માસના સંપૂર્ણ લોકડાઉનથી વિંછીયામાં નાના-મધ્યમ અને અતિ સાધારણ ધંધાર્થીઓને ધંધા રોજગાર બંધ રહેતા આર્થિક મુશ્કેલી અનુભવતા હતાં. લોકડાઉન પાર્ટ-૪માં થોડી છૂટ સાથે ધંધા શરૂ થયા ત્યાં ઓડ-ઇવન (એકી-બેકી)નું ભૂત ધુણ્યું !! વેપારીઓએ તંત્રને આ અંગે રજૂઆત કરી પણ કારી ન ફાવી અંતે નાના-મધ્યમ-વેપારીઓએ કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરતા કુંવરજીભાઇએ તંત્ર સાથે જરૂરી વાતચીત કરી નાના વેપારીઓનો પ્રશ્ન સ્થળ ઉપર જ ઉકેલી નાંખતા વેપારીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.
હાલ વિંછીયામાં સોશ્યલ ડિસ્ટન્સ રાખી ચાર કલાક ધંધો કરી શકાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે હજુ સુધી વિંછીયા તાલુકામાં એક પણ કોરોના કસ પોઝીટીવ નથી આવ્યો.