જુનાગઢ કોર્પોરેશને ૩ ગૌશાળાને સોંપેલી ૬૦૦ ગાયમાતાના મોત માટે જવાબદાર કોણ ?
તોરણીયાની ગૌશાળામાં વધુ એક ગૌમાતાનું મોત
જુનાગઢ તા.૩૦: જુનાગઢ કોર્પોરેશને ૩ ગૌશાળાને સોંપેલી ૬૦૦ ગાય માતાના કરૂણ મોત માટે જવાબદાર કોણ ? તેવો સવાલ ગૌ પ્રેમીઓમાંથી ઉઠવા પામ્યો છે.
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગૌશાળામાં મોકલવામાં આવેલ ગૌવંશના ટપોટપ મોત થઇ રહયા છે. મનપાએ ત્રણ ગૌશાળાને સોંપેલી હોય એવી ૬૦૦થી વધુ ગાયમાતા મોતને ભેટી છે.
આ પ્રમાણેની ઘોર બેદરકારી માટે જવાબદાર કોણ ? અને હવે તબેલામાંથી ઘોડા નાસી છુટયા બાદ મનપા તંત્રએ તબેલા પર બે માણસોનો પહેરો ગોઠવ્યો છે. દર મ્યાન જુનાગઢના તોરણીયા ખાતેની ગૌશાળામાં વધુ એક ગાય માતા મોતને શરણ થયા હોવાનું જાણવા મળેલ છે.
આમ ગૌકાંડમાં છેલ્લા ૧૩ દિવસમાં ગૌશાળામાં ૧૯ પશુના મોત થયાનું જણાયું છે.ગૌ માતાનો મોતનો સિલસિલો સત્વરે અટકે તે માટે મનપા તંત્રએ તાત્કાલીક અસરથી નક્કર કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી ગૌપ્રેમીઓમાંથી ઉઠી છે.