ભુજઃ બાળકોના મોતને મામલે અદાણી GKને કલીનચીટ
ર૦ દિ'માં ર૬ અને પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના મોતના વિવાદમાં તપાસ સમિતિની કલીનચીટઃ કોંગ્રેસે કહ્યું 'ફીકસીંગ'
ભુજ તા. ૩૦ : ભુજની અદાણી જીકે જનરલ હોસ્પીટલમાં બાળકોના મોત બાદ રાજય સરકાર દ્વારા મોકલાવાયેલ ત્રણ સભ્યોની સમિતિના ડો. હિમાંશુ જોશી (ગાંધીનગર) , ડો. ભાગ્યેશ વ્યાસ(જામનગર) અને ડો. કમલ ગોસ્વામી (રાજકોટ) દ્વારા જારી કરાયેલ સરકારી રીપોર્ટની માહિતી અદાણી ગેઇમ્સ દ્વારા સતાવાર મીડીયાને મોકલાઇ છે.
જે અનુસાર સરકારી તપાસ સમિતિએ અદાણી હોસ્પીટલને કલીનચીટ સાથે સારવાર બરાબર હોવાનું જણાવ્યું છે. સમિતિએ સ્ટાફને ટ્રેઇનીંગ આપવાનું અને વધુ તબીબોની જરૂરતના કરેલા સુચન અંગે ડાયરેકટર ડો. જ્ઞાનેશ્વર રાવે ખુલાસો કર્યો છે કે તપાસ સમિતિના સુચનનો અમલ કરી તબીબી સેવાઓને બહેતર બનાવાશે.
અદાણી જીકે હોસ્પીટલમાં ર૦ દિ'માં ર૬ બાળકોના મોત અને છેલ્લા પાંચ મહિનામાં ૧૧૧ બાળકોના સારવાર દરમ્યાન મોત નીપજયા બાદ સારવારના મુદ્દે આ મામલો કચ્છ સહિત રાજયભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો.
કચ્છ જિલ્લા કોંગ્રેસના આદમ ચાકી., રવિ ત્રવાડી સહિતના આગેવાનોએ બાળમોતની તપાસને ફીકસીંગ ગણાવ્યું છે.