સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th May 2018

ગરમીમાં રાહત પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારો વધ્યો

મહત્તમ તાપમાનનો પારો એકથી બે ડીગ્રી નીચે ઉતર્યો : પવનનું પ્રમાણ વધ્યું

રૂમઝૂમ કરતું આગળ વધતુ ચોમાસુ : રાજકોટ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચ્યા બાદ આગળ વધી રહ્યુ છે. અમદાવાદમાં ૭મી જૂન આસપાસ પ્રિમોન્સૂનની શકયતા છે. જયારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૧૪-૧૫ જૂનના ચોમાસુ એન્ટ્રી કરે તેવી સંભાવના છે.

રાજકોટ, તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ યથાવત છે અને લોકો ગરમીથી આકુળ-વ્યાકુળ થઇ ગયા છે. આખો દિવસ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે મહત્તમ તાપમાન સડસડાટ ઉંચે જતુ રહે છે અને મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રી નજીક પહોંચી જાય છે.

આવા વાતાવરણ વચ્ચે ગરમીમાં રાહત થઇ છે, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારામાં વધારો થયો છે. મહત્તમ તાપમાનનો પારો એકથી બે ડીગ્રી નીચે ઉતર્યો છે અને પવનનું પ્રમાણ પણ વધ્યું છે.

ગઇકાલે સુરેન્દ્રનગર-૪૩.પ ડીગ્રી, અમદાવાદ-૪૩.ર ડીગ્રી, ગાંધીનગર-૪ર.પ ડીગ્રી, ડીસ-૪ર.૩, રાજકોટ-૪ર.૦ ડીગ્રી, ભાવનગર-૪૧.૧ડીગ્રી, વલ્લભ વિદ્યાનગર-૪૦.૯ ડીગ્રી, અમરેલી-૪૦.૪ ડીગ્રી, કંડલા એરપોર્ટ-૩૯.૬ ડીગ્રી, મહુવા-૩૬.૪ ડીગ્રી, પોરબંદર-૩૪.૬ ડીગ્રી, વેરાવળ-૩૪.૪ અને દ્વારકામાં ૩૧.૯ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૪૦ મહત્તમ, ર૮ લઘુત્તમ, ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૮.પ૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:00 pm IST)