સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th April 2021

ગુજસીટોક કાયદા હેઠળ કબ્જે થયેલ રોકડ રકમ પરત મેળવવા નિખિલ દોંગાના મિત્રએ કરેલ અરજી નામંજુર

કાયદાની જોગવાઇ જોતા ગુનાખોરી કરી મેળવેલ રકમ પરત સોંપી શકાય નહીઃ સ્પે.પી.પી.ગોકાણી

રાજકોટ, તા., ૩૦: અસંખ્ય લોકો સાથે ગુન્હાહિત કૃત્યો આચરી ભેગી કરેલ રકમ પોલીસ દ્વારા કબ્જે લેવાતા ગુજસીટોકના ગુન્હામાં પકડાયેલ નિખીલ દોંગાના મીત્ર દ્વારા રોકડ રકમ પરત આપવા કરેલ અરજી સ્પેશીયલ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ગોંડલ પંથકના કુખ્યાત નિખીલ ઉર્ફે  નિકંુજ રમેશભાઈ દોંગા તથા તેના સાગરીતો સામે ગોંંડલ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ. ઝાલાએ ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ફરીયાદ કરતા જણાવેલ હતું કે, તમામ આરોપીઓ નિખીલ  દોંગાની આગેવાની હેઠળ સંગઠીત ગુન્હા આચરતી ટોળકી (ઓર્ગેનાઈઝ ક્રાઈમ સીન્ડીકેટ) બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરણા પુરી પાડી છેલ્લા ૧૦ વર્ષોમાં રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના જિલ્લાઓમાં શરીર સંબંધીત તથા મિલ્કત સંબંધીત અસંખ્ય ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરી મીલ્કત બળજબરીથી પચાવી પાડી અને મોટા નાણાકીય હવાલાઓ પોતાના અંગત આર્થિક લાભ ખાતર લઈ સમગ્ર ટોળકીની મદદથી ગુન્હાહિત પ્રવૃતીઓ આચરેલ અને અસંખ્ય લોકો આ ગુન્હાહિત ટોળકીનો ભોગ બનેલા હોય નિખીલ દોંગા સહીત ૧૨ લોકો વિરૂઘ્ધ ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

ત્યારબાદ તપાસ દરમ્યાન જે-તે  સમયના ગોંડલના જેલર તથા અન્ય આરોપીઓના નામો ખુલતા તમામ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને આ ગુન્હાહિત ટોળકીના નાણાકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર દ્વારા કમર કસવામાં આવેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહીત ફાયનાન્શીયલ બાબતોના નિષ્ણાંત વ્યકિતઓની મદદથી આરોપીઓ દ્વારા ગુન્હાહિત કૃત્યો કરી ભેગા કરાયેલ નાણા તથા મિલ્કતોના હિસાબ બાબતે તપાસ કરવામાં આવતા આરોપી નિખીલ દોંગાએ ગુન્હાહિત કૃત્યો કરી મેળવેલ રકમો વિવિધ મિલ્કતોમાં અલગ અલગ લોકોના નામે રોકાણ કરેલ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા નિખીલ દોંગાના જુના મિત્ર મનોજકુમાર છગનભાઈ ગોંડલીયાના ઘરે રેઈડ કરતા રેઈડ દરમ્યાન ઘરમાંથી બીનહિસાબી રૂપીયા બે લાખની રકમ તથા જમીનના દસ્તાવેજો મળી આવતા પોલીસ દ્વારા ગુન્હાના કામે રોકડ રકમ તથા દસ્તાવેજો કબ્જે કરવામાં આવેલ હતા.

રોકડ રકમ પોલીસ દ્વારા કબ્જે કરાતા નિખીલ દોંગાના મિત્ર મનોજકુમાર છગનભાઈ ગોંડલીયાએ રાજકોટની સ્પેશીયલ અદાલતમાં રકમ પરત આપવા અરજી દાખલ કરી જણાવેલ હતું કે સદર રકમ કોઈ ગુન્હાહિત કૃત્યમાંથી મેળવેલ નથી પરંતુ તેઓએ ગોંડલ નાગરીક બેંકમાંથી લીધેલ લોનના ટર્નઓવર પેટે મેળવેલ છે અને તે રકમને નિખીલ દોંગા સાથે કઈ જ લેવાદેવા નથી તેમજ રોકડ રકમ તેમના પિતાની કેન્સરની સારવાર તથા ઘર વપરાશ માટે જરૂરી હોવાનું જણાવી રકમ પરત માંગેલ હતી.

અરજદાર મનોજ ગોંડલીયા દ્વારા કરવામાં આવેલ અરજી સુનાવણી પર આવતા સરકાર તરફે અરજીનો વિરોધ કરતા ગુજસીટોકના સ્પે.પી.પી. શ્રી તુષાર ગોકાણી દ્વારા રજૂઆતો કરવામાં આવેલ કે ગુન્હાની તપાસ દરમ્યાન અરજદાર મનોજ ગોંડલીયાના પિતાના નામે આરોપી નિખીલ દોંગાએ રોકડ રકમ ચૂકવી જમીન ખરીદેલ હોવાના પુરાવાઓ પોલીસને તપાસ દરમ્યાન મળેલ છે તેમજ આરોપી નિખીલ દ્વારા અરજદાર ઉપરાંત અન્ય ઘણા લોકોના નામે માત્ર એન્ટ્રીઓ ઉભી કરવાના હેતુથી રોકડ રકમના વ્યવહારો કરવામા આવેલ હોવાના પુરાવાઓ મળેલ છે અને અરજદારના મકાનની ઝડતી દરમ્યાન મળી આવેલ ઉપરોકત રોકડ સંદર્ભે અરજદારે યોગ્ય કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી કે રકમ બાબતેના કોઈ આધાર પુરાવા રજૂ કરેલ ન હોય ત્યારે ગુજસીટોકના કાયદામાં ગુન્હાહિત કૃત્યોમાંથી મેળવેલ રકમ કબ્જે કરવાની ચોકકસ જોગવાઈઓને ધ્યાને લેતા જો રકમ અરજદારને પરત આપવામાં આવે તો તે રકમનો ફરી વખત ગુન્હાહિત કૃત્યો માટે ઉપયોગ કરે તેવી શકયતાઓ રહેલી હોય અરજી નામંજુર કરવા ધારદાર દલીલો કરવામાં આવેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે સ્પેશીયલ અદાલતે અરજદાર મનોજ ગોંડલીયા ગેંગ લીડર નિખીલ દોંગા સાથે મળેલ હોવાનુ અને કબ્જે કરાયેલ રકમ ગુન્હાખોરી કરી મેળવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની અરજદારની અરજી રદ કરવામાં આવેલ હતી.

આ કામમાં સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીએ રજૂઆતો કરેલ હતી.

(1:21 pm IST)