નવો મોબાઇલ હમણા લેવાની પતિએ ના પાડતાં તુરખાની શિતલનો આપઘાત
રાજકોટ તા. ૩૦: બોટાદના તુરખા ગામે રહેતી શિતલબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૩)એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
શિતલબેને ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ ઝેર પી લેતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પાળીયાદ પોલીસને જાણ કરી હતી. શિતલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પતિ વિજય રામજીભાઇ સેન્ટીંગ કામ અને ખેત મજૂરી કરે છે. શિતલબેનના માવતર ગઢડા હરિપર રહે છે. પરિવારજનના કહેવા મુજબ શિતલબેનનો એક મોબાઇલ તૂટી ગયો હતો. તેણીને હાલમાં નવો મોબાઇલ ફોન લેવો હતો. પતિએ થોડા સમય પછી લઇ આપશે તેવી વાત કરતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતુ઼. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.