લોધીકાના માખાવડ ગામે દિવાલ ધસી પડતા મહિલાનું મોતઃ કોન્ટ્રાકટર સામે ગુન્હો નોંધાયો
ત્રણ પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવતા આદિવાસી પરિવારમાં અરેરાટીઃ બાંધકામ કોન્ટ્રાકટર સાંગણવા ગામના અશોક રાખૈયા સામે બેદરકારી સબબ ગુન્હો નોંધાયો
રાજકોટ તા. ૩૦ :.. લોધીકાના માખાવડ ગામે ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં બગીચાની દિવાલ ધસી પડતા દબાઇ જતા આદિવાસી શ્રમીક મહિલાનું મોત થયું હતું. આ બનાવમાં બેદરકારી દાખવનાર બાંધકામ કોન્ટ્રાકટર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ લોધીકાના માખાવડ ગામે ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં બગીચાની દિવાલનું બાંધકામ ચાલતુ હોય એ દરમિયાન દિવાલ ધસી પડતા શ્રમીક મહિલા ગંગીબેન પંકજભાઇ ભુરીયા આદિવાસી (ઉ.રપ) દબાઇ જતા ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતક મહિલાને સંતાનમાં ત્રણ પુત્રી છે જેણે માતાની છત્રછાંયા ગુમાવતા આદિવાસી - પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
દરમિયાન આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ પંકજભાઇ ભુરીયા રે. માખાવડએ બગીચાના બાંધકામ કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટર અશોક પુંજાભાઇ રાખૈયા રે. સાંગણવા તા. લોધીકા સામે દિવાલનું બાંધકામ નબળુ કરી બેદરકારી દાખવેલ હોય તેના કારણે દિવાલ ધરાશયી થતા તેનું પત્નીનું દબાઇ જતા મોત થયાની ફરીયાદ નોંધાવતા લોધીકા પોલીસે આઇ. પી. સી. કલમ ૩૦૪ (એ) ૩૩૭, ૩૩૮, મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.