ઉનામાં ઘર પાસે વાહન કેમ પાર્ક કરો છો... તેમ કહીને પાઇપ વડે હુમલો
ઉના, તા. ર૯ : દેલવાડા રોડ ઉપર ગેરેજના માલીકને વાહન ઘર પાસે કેમ પાર્ક કરો છો તેમ કહી લોખંડનો પાઇપ તથા લાકડા વતી માર મારી ખંભામાં ગંભીર ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.
દેલવાડા રોડ ઉપર નાગનાથ મંદિર સામે જય માતાજી નામનું વાહન રીપેર કરવાનું ગેરેજ ચલાવતા બ્રાહ્મણ શૈલેષભાઇ કિશોરભાઇ વ્યાસ ઉ.વ. ૪૮ વાળા આજે ગેરેજ ઉપર કામ કરતા હતાં ત્યારે ગેરેજ પાસે રહેલતા ધનશ્યામભાઇ મહેશભાઇ કવા તથા તારાબેન મહેશભાઇ કવા રે. ઉનાવાળા આવી અમારા ઘર સામે શા માટે વાહન પાર્ક કરો છો કરતા નહીં તેમ કહી ગાળો કાઢી તારાબેને લોખંડનો પાઇપ લઇ ગેરેજમાં ઘુસી જઇ શૈલેષભાઇને આડેધડ માર મારી જમણા હાથમાં ફ્રેકચર કરી લોહી લુહાણ કરી ગેરજમાં રાખેલ ફર્નીચર તથા ટેબલ ખુરશીની તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઉના પોલીસમાં ફરીયાદ દાખલ કરાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આત્મવિલોપનની ચીમકી
ગીરગઢડા તાલુકાના સનવાવ ગામના રણછોડભાઇ પુનાભાઇ મેર, ઘેલાભાઇ રામ, બાલુભાઇ નાજાભાઇ રાઠોડ સહિત ૧૪ ખેડુતોએ ગીરગઢડા મામલતદાર કચેરીએ જઇ લેખીતમાં રજુઆત કરી છે.
ખેતરે જવાનો રસ્તો ગામના ઉપસરપંચ ગોપાલભાઇ જીવાભાઇ બાંભણીયાએ જેસીબી દ્વારા માટી નાખી કાંટાનો થોર નાખી પેસકદમી કરી બંધ કરી દેતા રજુઆત કરવા જતાં ઉશ્કેરાયેલ અને આ રસ્તાને અડીને આવેલ ગોચર જમીન ઉપર પણ ઉપસરપંચે પેશદમી કરીને વહેલી તકે વરસો જૂનો રસ્તો ખુલ્લો કરવા તથા જો નહીં કરાય તો ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે અને નક્કર પરિણામ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. (૮.૪)