હળવદના રાણેકપરમાં ટ્રેકટરમાં ભરેલા ઘાસચારામાં આગ ભભૂકી : જાનહાની ટળી
(દીપક જાની દ્વારા) હળવદ,તા.૨૯ : હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રમતુભાઈ મશરૂભાઈ પોતાના ખેતરેથી ટ્રેકટર માં ઘાસચારો ભરી પોતાના ઘરે આવી રહ્યા હતા તે વેળાએ વીજ વાયર ટ્રેકટર માં ભરેલા ઘાસચારાને અડી જતા તિખારા ઝરતા ઘાસચારામાં એકાએક આગ લાગી હતી જેથી તાત્કાલિક ખેડૂત દ્વારા ટ્રેકટરની ટ્રોલીનો ઉલાળિયો કરી ઘાસચારો નીચે ઉતારી દીધો હતો અને આગની ઝપેટમાં થી પોતાને અને ટ્રેકટરના બચાવી લીધું હતું જોકે ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. વધુમાં સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે વીજ વાયર ઘણા નીચા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જેથી પીજીવીસીએલના અધિકારીઓ કોઈ મોટી ઘટના ઘટે એ પહેલા આવા વિજવાયરને યોગ્ય કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.