સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ચાઇના સાથે નવા સોદાઓ ન પડતા મગફળીના ભાવમાં મણે રૂ. ૮૦ સુધીનો ઘટાડો

તળાજા યાર્ડમાં ચિક્કાર આવકઃ તેલ સસ્તુ થવાના એંધાણ : ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વ્હેચવાથી ખેડૂતો દૂરઃ હળવદમાં નીચા ભાવના લીધે હોબાળો : ભરાવો થઇ જતા આજથી આવક બંધ : ખુલ્લા બજારમાં વધુ ભાવ મળે છે

રાજકોટ,તા. ૨૯: સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરતા હોબાળો મચ્યો છે કયાંક ખેડૂતો સહકાર પણ આપી રહ્યા છે.

ગ્રેડરની ચકાસણીથી ખેડૂતો કંટાળ્યા

ધોરાજીના કિશોર રાઠોડના અહેવાલ મુજબ ધોરાજી ખાતે ખેડૂતો ટેકાના ભાવે વેહચવાને બદલે ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેંચી રહ્યા છે.

રાજય સરકારે ૧૦૫૫ ટેકાનો ભાવ જાહેર કર્યો અને ત્યારબાદ ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હવે મગફળીની બજારમાં સુધારો આવતા ખુલ્લી બજારમાં સારી મગફળીના ૧૦૯૦ સુધી ના ભાવ ખેડૂતોને મળી રહેતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવને બદલે ઓપન માર્કેટમાં વેપારીઓને પોતાની મગફળી વહેંચી રહ્યા છે.

ધોરાજી માં ત્રણ દિવસ દરમિયાન ૨૦૦ થી વધુ ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવા મેસેજ કરાયો હતો. જેમાં માત્ર ૧૫ જેટલા ખેડૂતો પોતાની મગફળી લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. અને તેમાં પણ માત્ર છ થી સાત ખેડૂતોની મગફળી ગ્રેડિંગમાં પાસ થઈ હતી.

ગ્રેડીંગ વિભાગ દ્વારા ઝીણવટ ભેર ચકાસણી થતી હોય અને મગફળીમાં ભેજ અને ધૂળનું પ્રમાણ વધુ જણાઈ એટલે રિજેકટ કરવામાં આવે આવી પ્રક્રિયાથી કંટાળી ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાનો માલ વેચી રહ્યા છે. જો ખુલ્લી બજારમાં વધુ ભાવ મળતા હોય તો ટેકાના ભાવનો કશો અર્થ રહેતો નથી.

રાજય સરકાર ધારે તો બજાર કરતા ટેકાનો દર વધારી શકે પરંતુ સરકારને ખેડૂતોનો પાક લેવામાં રસ નથી કે કોઈ અન્ય કારણ વર્તમાન સમયમાં ખેડૂતો પોતાની મગફળી ઓપન બજારમાં જ વહેંચી રહ્યા છે.

આવતા ખેડૂતો બન્યા અધિરા

મેઘના વિપુલ હિરાણીના ભાવનગરથી મળતા અહેવાલ મુજબ દિવાળી નજીક આવી રહી છે.મગફળી ખેતરો માંથી મોટા ભાગે નીકળી ગઈ છે.આથી ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે અધિરા બન્યા છે.જેને લઈ તળાજા માર્કટિંગ યાર્ડ બે દિવસ થી છલકાઈ રહ્યું છે.આજે માલ કયાં ઉતારવો તેવી મુંઝવણ યાર્ડના સચલકોને ઉભી થતા

રવિવાર સાંજે ૭ વાગ્યા બાદ સવારે ૮ વાગ્યા સુધી મગફળી લાવવા ખેડુતો ને કડક સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ આજે તળાજા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ના મોટા ભાગના યાર્ડમાં મગફળી ના ભાવમાં સરેરાશ રૂપિયા ૬૦ થી ૮૦ સુધીનો દ્યટાડો એક મણે આવ્યો છે. જે ખડુતો ને સિધોજ નુકશાન કર્તા છે. જેભાવ ઘટ્યા છે અને હજુ ખેડૂતો પાસે મગફળીનો જથ્થો પડ્યો છે તે જોતા એવું લાગે છેકે આગામી સમયમાં શીંગ તેલ સસ્તું થોડું થશે. હાલ છેલ્લા પંદર દિવસમાં ભાવોમાં આવેલ ઉછાળો કાબુમાં આવશે.જે ગૃહિણીઓ ને રાહત રૂપ બનશે.

ચાઈના સાથે થતા સોદાઓ હાલ પૂરતા અટકી ગયા છે તેને લઈ ભાવમાં સરેરાશ એક કિલો એ રૂપિયા ચાર નો ઘટાડો આવ્યો છે.

શનિ રવિ હરરાજી બંધ રહશે.

તળાજા યાર્ડના સેક્રેટરી અજિતભાઈ પરમારએ જણાવ્યું હતુંકે યાર્ડમાં મગફળી રાખી શકાય તેવી જગ્યા બચી નથી. એટલી ચિક્કાર આવક છે. આથી રવિવારે સાંજે ૭ થી સવારના ૮ વાગ્યા સુધીજ મગફળી લાવી શકાશે. એ નિયમ રાબેતા મુજબ રહશે.હાલ બારેક હજારથી વધુ ગુણી પડી છે.જે ગુરુ શુક્ર દરમિયાન હરરાજી થશે.શનિ રવિ બેંકમાં રજા હોવાથી રોકડું પેમેન્ટ થઇ શકે નહીં આથી શનિ રવિ હરરાજી બંધ રહશે. સોમવારે રાબેતા મુજબ હરરાજી થશે તેમ આજે સાંજે પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા એ વેપારીઓ સાથે યોજેલ મીટીંગ માં નક્કી થયુંછે.

કિલોએ સરેરાશ રૂપિયા ૪ નો ઘટાડો

યાર્ડના વેપારી સુધીરભાઈએ જણાવ્યું હતુંકે મગફળીની માગ માં ઘટાડો થયો છે.તેનીપાછળનું કારણ ચાઈના સાથેના સોદાઓ આજે અટકી પડ્યા છે.આવનાર દિવસો માં સોદાઓ પડશે અને માગ નીકળશે તો ભાવ વધશે. ચાઈના સાથે ના વેઓરીઓ એ કરેલા કવોટા પૂરો થયો છે.

આ કારણો રહ્યા ભાવ ઘટવા પાછળના

તળાજા યાર્ડમાંથી મગફળી ખરીદી કરી એકસપોર્ટરોને સપ્લાય કરતા સોંડાભાઈ ખરક એ જણાવ્યું હતું કે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાત લાખથી વધુ ગુણીની આવક હતી.માર્કેટમાં પુષ્કળ આવક સામે દેશાવર માંથી માગ ઘટી છે.દાણા ના વેપારી ઓ અટકી ગયા છે. કન્ટેનર ની અછત વેપારીઓ અનુભવી રહ્યા છે.જેની અસર સીધી રીતે ભાવ ઓર પડતા નુકશાની વેઠવાનો વારો ખેડૂતો ને આવ્યો છે.

હળવદ યાર્ડ

દિપક જાની દ્વારા હળવદથી મળતા અહેવાલ મુજબ હાલ રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે પણ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ તેના કરતાં ખેડૂતોને ઓપન બજાર માં સારો એવો ભાવ મળી રહેતો હોય જેથી ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ઓપન બજાર માં ખેડૂતો મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે જોકે ગઇકાલ કરતાં ૫૦ થી ૬૦ રૂપિયાનો મગફળીનો ભાવ ગગડી જતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને હળવદ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો સાથે જ માર્કેટના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે જયાં સુધી મગફળીના યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હરરાજી બંધ કરવામાં આવી જેથી આજે હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી બંધ કરવામાં આવી છે સાથે જ આજે એક દિવસમાં ૧૩,૦૦૦ મણ જેટલી મગફળીની આવક હળવદ માર્કેટ યાર્ડ માં નોંધાઈ છે જેથી આવતીકાલે એટલે કે ૨૯ ને ગુરુવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક લેવામાં આવનાર નહીં હોવાનું હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું છે

સાથે જ આજે જે મગફળીની આવક થઈ છે તેની આવતીકાલે હરાજી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

(11:36 am IST)