નરેન્દ્રભાઇએ હજીરામાં રો-પેક્સ ફેરી ટર્મિનલ ખુલ્લુ મુક્યુ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચે જળમાર્ગે પ્રવાસ વધ્યો
ટુંકાગાળામાં હજીરા ઘોઘા વચ્ચે પોણા ત્રણ લાખ જેટલા પ્રવાસીઓ, ૨૫ હજાર ટ્રક, ૪૦ હજાર કાર અને ૧૫ હજાર ટુ વ્હીલરની હેરફેરઃ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ભવિષ્યમાં ગુજરાતના અન્ય સ્થળોને પણ રો-પેક્સ ફેરી દ્વારા જળમાર્ગે જોડવા માટેની યોજના
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : ᅠદેશના જળમાર્ગોનો ઉતારૂ અને વાહનોની હેરફેર માટે ઉપયોગ કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મંત્રને સાકાર કરવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરીટી, કંડલાએ બીડું ઝડપ્યું છે.ᅠ
૮ મી નવમ્બર, ૨૦૨૦ માં પ્રધાન મંત્રીᅠ હસ્તે હંગામી, જેટી પર થી રો- પેક્સ સેવા ની શરૂઆત કરવામાં આવી હતી, આ મહત્વકાંક્ષી સ્વપ્ન માટે હજીરા રો-પેક્સ ફેરી માટેના નવા આધુનિક કાયમી ટર્મિનલનું નિર્માણ કરાયું છે. જૂન ૨૦૨૧ માં શરૂ કરાયેલા આ ટર્મિનલના નિર્માણને રૂ. ૭૦ કરોડના ખર્ચે રેકર્ડ સમયમાં પૂર્ણ કરાયું છે. આજે આ નવા ટર્મિનલનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યુ છે. MoPSW હેઠળ DPA કંડલા દ્વારા બનાવાયેલ હજીરા રો-પેકસ ફેરી ટર્મિનલના ઉદ્દઘાટનના આ ગૌરવભર્યા પ્રસંગે કેન્દ્રીય શીપીંગ મંત્રી સરબાનંદ સોનવાલ, DPA ના ચેરમેન એસ.કે. મહેતા ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન પ્રદીપ મોહંતી અને અન્ય અધિકારીઓ સાથે પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી સાક્ષી બન્યા.
ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ માટેના આ ટર્મિનલ બિલ્ડીંગમાં મુસાફરો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાઇ છે તથા ટ્રક અને કાર માટેની તટીય સુવિધાઓ ઉપલબ્ધ છે.ᅠ ઘોઘાથી હજીરા વચ્ચે જમીન માર્ગે ૩૮૦ કિલો મીટરના અંતરને આ ફેરી દરિયામાર્ગે માત્ર ૯૬ કિમીનું કરી નાંખે છે. આ રો પેક્સ ફેરીએ અત્યાર સુધી ૨,૭૦,૬૧૪ ઉતારૂઓ, ૪૨,૩૧૯ કાર, ૧૫,૪૯૨ ટુ-વ્હીલર, અને ૨૪,૬૦૫ ભારે ટ્રકોનું વહન કર્યું છે. આ ફેરી સેવાએ સમયની સાથોસાથ કિંમતી ઇંઘણની પણ બચતમાં ચાવીરૂપ ભુમિકા ભજવી છે. દીનદયાળ પોર્ટ ઓથોરીટી, કંડલા નજીકના ભવિષ્યમાં ગુજરાતના અન્ય સ્થળોએ જળમાર્ગ દ્વારા રો-પેકસ ફેરી સેવા પુરી પાડવાની યોજના ધરાવે છે.