કચ્છના ધારાસભ્યો દ્વારા નવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત : વિજયભાઇની સરકારે નર્મદા કેનાલ માટે મંજૂર કરેલ રૂ. ૩૪૭૫ કરોડને ત્વરિત વહીવટી મંજુરી આપો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની કચ્છના ધારાસભ્યો એ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે મુખ્યમંત્રીનું સન્માન કરી ખાસ કચ્છની મહત્વની નર્મદા કેનાલની રાજય સરકારે જે રૂ.૩૪૭૫ કરોડની મંજૂરી આપેલ હતી તેની ત્વરિત વહીવટી મંજૂરી આપવાની રજુઆત કરી હતી.
જેમાં કચ્છના ધારાસભ્યોમાં પૂર્વ રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી,અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા અને માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્ર સિંહ જાડેજાએ સાથે મળી રજુઆત કરતા મુખ્યમંત્રીએ નર્મદા કેનાલ માટે સહર્ષ ખાત્રી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે સરકારની અવિરત ચાલતી વિકાસ ગાથામાં આપણું ગુજરાત વિકાસની દિશામાં એક નવી હરણફાળ ભરશે સાથે ત્વરિત નર્મદા કેનાલનું કામ ચાલુ થાય અને નર્મદાના નીર માંડવી તાલુકાના મોડકુબા સુધી પહોંચશે એવી ખાત્રી આપી હતી.