સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

બગદાણામાં ૭ ઇંચ : ખંભાળિયા પંથકમાં વિજળી પડતા ૫ ભેંસના મોત

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધુપ-છાંવ યથાવતઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧ ઇંચ

ભાવનગર : બગદાણામાં ૭ ઇંચ વરસાદ પડતા બગડ ડેમ ઓવરફલો થયો છે જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં બે-ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે અને લોકો સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્‍યારે અમુક જગ્‍યાએ હળવો કે ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે ભાવનગર જિલ્લાના યાત્રાધામ બગદાણામાં ૭ ઇંચ વરસાદ પડયો હતો. જ્‍યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧ ઇંચ વરસ્‍યો હતો. ખંભાળીયા પંથકમાં વિજળી પડતા ૫ ભેંસના મોતથી અરેરાટી વ્‍યાપી છે.

ભાવનગર જિલ્લાના બગદાણા પંથકમાં ગઈકાલે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડયો હતો. ૭ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફલો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા.

ભાવનગરના બગદાણા ગામ અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગઈકાલે બપોરે ધોધમાર વરસાદ પડ્‍યો હતો. બગદાણા, ધરાઈ, કલમોદર વિગેરે ગામ બાજુ સાંબેલા ધારે વરસાદ તૂટી પડયો હતો અને ૭ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદ થી મહુવા તળાજા વચ્‍ચે આવતા મોટી જાગધાર ગામે બગડ નદી બે કાંઠે વહેતી થઈ. રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્‍યવહાર પણ થંભી ગયો હતો. ગ્રામ્‍ય પંથકમાં મેઘમહેરથી ધરતી પુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

બગદાણામાં પહેલાં જ વરસાદથી બગડ ડેમ ઓવરફલો થઈ ગયો છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો હતો. જયારે જેસરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ તળાજામાં ૧૦ મી.મી., જેસરમાં ૯ મી.મી., ગારિયાધારમાં ૧૨ મી.મી. અને ભાવનગર શહેરમાં ૧.૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્‍તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ (રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્‍તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. તેમજ હાલ ડેમ છલકાઈ જતાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા ૦.૧૫ મી.મી. ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા વિસ્‍તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવેલ છે. આમ જિલ્લાના મુખ્‍ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફલો થયો છે.

બગડ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર ઉપર ગઈકાલે સાંજે પ્રતિબંધ મુકાયો હતો.

ખંભાળીયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્‍તારમાં ગઇકાલે એકાદ ઇંચ જ વરસાદ પડયો હતો પરંતુ વરસાદની સાથે ભારે ગર્જના સાથે પડતી વીજળીએ તોફાન મચાવ્‍યું હતું.

ખંભાળિયાના વિંઝલપુરમાં વૃક્ષ નીચે બાંધેલ ત્રણ ભેંસો પર વીજળી પડતા ત્રણેયના મોત નિપજ્‍યા હતા તો વીસીદળ ગામે તથા ખંભાળિયાના હર્ષદપુરમાં પણ એક-એક ભેંસ પર વીજળી પડતા તેમના પણ મોત નિપજ્‍યા હતા.

અહીંના રામનગર વિસ્‍તારમાં વીજળી પડતા વીજ વાયર તૂટીને નીચે પડતા લાકડા સળગ્‍યા હતા તથા આગ લાગી હતી તો અનેક સ્‍થળે વીજળીના પડવાથી વીજ ટ્રાન્‍સફોર્મરોને પણ નુકસાન થયું હતું તથા અનેક સ્‍થળે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે ભારે ગરમી - બફારો અને ઉકળાટ પછી મેઘરાજાનું આગમન થયું હતું તથા ચારેય તાલુકામાં વરસાદ પડયો હતો. ખંભાળિયામાં ૨૩ મીમી, ભાણવડમાં ૯ મીમી તથા દ્વારકામાં ૬ મીમી જેટલો વરસાદ પડયો હતો. જોકે કલ્‍યાણપુરમાં વરસાદ નહતો પણ નજીકના ગામો તથા જામરાવલમાં ઝાપટાથી અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો તો ખંભાળિયા - ભાણવડ રોડ પરના ગામોમાં પણ ઝરમરીયો વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૮ મહત્તમ, ૨૮.૫ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ધોરાજી વિસ્‍તારમાં મેઘરાજા રીસાતા ખેડૂતો ચિંતામાં

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૨૯ : ધોરાજી વિસ્‍તારમાં જે કમાન્‍ડ એરીયાની ખેતીની જમીનો આવેલ છે ત્‍યાં ખેડૂતોએ ૨૫ દિવસ પહેલા કેનાલના પાણીથી કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળનું મોટા પાયે વાવેતર કરેલ અને પાછળથી વાવણી લાયક વરસાદ ન પડતા મોલાત સુકાવા લાગી છે અને ધરતીપુત્રો મેઘરાજાને વિનંતી કરે છે કે હવે તો વરસો નહીતર અમારી મોલાતો સુકાય જશે અને મોટા પ્રમાણમાં ઉભેલી મોલાત મુરઝાય તેવી સ્‍થિતિ થયેલ છે. અને હવે ધરતીપુત્રો મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

કાલથી ૩ જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદ પડશેઃ ખંભાળિયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૯ : ખંભાળિયાના જાણીતા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારિયાએ એક મુલાકાતમાં જણાવેલ કે, દ્વારકાના દરિયામાં હવાનું દબાણ સર્જાતા આ હવા પવન સાથે વરસાદ લાવશે. જે બે દિવસ ચાલુ રહેશે તથા ૩૦ થી ૩ જુલાઇ સુધીમાં નોંધપાત્ર વરસાદ પડે તેવી સંભાવના પણ છે.

(11:41 am IST)