સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th June 2022

ગુજરાતના તમામ મંદિરોના પુજારીને કાયમી પગાર આપવા કોંગ્રેસ આગેવાનની માંગણી

મોરબી કોંગ્રેસ આગેવાને મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના અગ્રણી નેતા રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રી ભુપેદ્રભાઈ  પટેલને પત્ર લખી  ગુજરાતના પુજારીઓ વર્ષોથી ભગવાનની પૂજા અર્ચના કરતા આવ્યા છે. તેથી તેમના જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેવી રજૂઆત કરી છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં આપણે હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરીએ છીએ. ગુજરાતમાં આવેલ નાના—મોટા અસંખ્ય મંદિરો આવેલ છે જેમાં પ્રતિદિન હજારો અબાલ, વૃધ્ધ અને મહિલાઓ દર્શનાર્થે આવે છે અને તેઓ શિંકત અનુસાર પુજારીઓને દાન દક્ષિણા આપતા હોય છે અને આ પુજારીઓ પણ પરિવાર ધરાવે છે અને અનેક જગ્યાએ માતાજી, હનુમાનજી, રામ ભગવાન સહિતનાં દેવ—દેવતાઓનાં મંદિરોમાં પુજાઅર્ચના કરે છે જે જે વહેલી સવારથી મોડે સુધી સેવા આપે છે અને ધર્મધજા અને ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરે છે.
હાલમાં સરકાર હિન્દુ રાષ્ટ્રનાં નિર્માણ કરવા વિચારતા હોઈએ ત્યારે આવા મંદિરોમાં દરરોજ પૂજાપાઠ અને અર્ચના કરતા મંદિરોના પુજારીઓ માટે તેમના જીવનનિર્વાહ અને પરિવાર માટે આર્થિક મદદના ભાગરૂપે તેઓને પગાર ભથ્થા આપવા જરૂરી છે. તેમજ મંદિરની આજુબાજુમાં પુજારી પરિવારના વસવાટ માટે જમીન પણ આપવી જોઈએ તેઓની નિયમિત સેવા પુજાથી જ મંદિરની ગરીમા જળવાઈ રહે છે. તો આ બાબતે ગંભીર નોંધ લઈ રાજયનાં તમામ વિસ્તારોમાં આવેલ મંદિરોનો સર્વે કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી કરવામાં આવી છે.

(12:56 am IST)