કચ્છ એલસીબીની ટીમ દ્વારા આદિપુરના સાધુ વાસવાણી નિકેતન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રૂ.14 હજારની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે આદિપુરના સાધુ વાસવાણી નિકેતન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રૂ.14 હજારની કિંમતના વિદેશી શરાબ અને બીયરના જથ્થા સાથે એકને પકડી ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો, તો અંજારના ખેતરપાળ દાદાના મંદિર સામેથી રૂ.5,200 ના દારુ સાથે એકને ઝડપી લીધો હતો.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોર્ડ-4/બીના પ્લોટ નંબર-56 માં આવેલા સાધુ વાસવાણી નિકેતન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી રૂ.14,875 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 28 બોટલ અને 48 બિયરના ટીન તથા રૂ.3,000 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.17,875 ના મુદ્દામાલ સાથે મનોજ ભગવાનદાસ હિરાનંદાનીને પકડી લીધો હતો. આ દરોડા દરમિયાન હાજર ન મળેલા આદિપુરના જ લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી અને અનિલ ચંદનાણી વિરૂધ્ધ આદિપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ સોંપી હતી.
તો અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખેતરપાળ દાદાના મંદિર સામેના મકાનમાં દરોડો પાડી મેહુલ ઠાકરશીભાઇ ઠક્કરને રૂ.5,200 ની કિંમતના અંગ્રેજી શરાબની 5 બોટલો સાથે પકડી લીધો હતો જ્યારે હાજર ન મળેલા સુનિલ બળવંતભાઇ બારોટ વિરૂધ્ધ પણ ગુનો અંજાર પોલીસ મથકે નોંધાવ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.એન.રાણા સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી તથા સ્ટાફ જોડાયો હતો.