સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th May 2021

બોટાદમાં ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે આપઘાત કરી લેતાં ચકચાર

કમ્પાઉન્ડરે હોસ્પિટલના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી: બાજુમાં આવેલાં બે માળના મકાનના ધાબા પર પછડાયો

બોટાદમાં ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. કમ્પાઉન્ડરે હોસ્પિટલના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. અને તે હોસ્પિટલની બાજુમાં આવેલાં બે માળના મકાનના ધાબા પર પછડાયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. જો કે યુવાનના આપઘાતનું કારણ અકબંધ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બોટાદના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતો 22 વર્ષીય લાલજીભાઈ ઘુઘાભાઈ બાવળીયા પાળીયાદ રોડ પર આવેલી રચના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. ગત રોજ તેણે અગમ્ય કારણોસર હોસ્પિટલના પાંચમા માળેથી હોસ્પિટલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી હતી. અને તે હોસ્પિટલની બાજુમાં આવેલાં રહેણાંકી મકાનના ધાબાના બીજા માળ પર પડ્યો હતો.

જો કે, 22 વર્ષીય યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. પણ જે હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં જ આપઘાત કરતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે આ મામલે પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:31 pm IST)