કતલખાને ધકેલાતી ૯ ગાયોને ગોંડલના ગૌસેવકોએ બચાવીઃ ચોટીલામાં ગુન્હો નોંધાયો
તસ્વીરમાં ગાય અને બીજી તસ્વીરમાં પકડાયેલ ટ્રક સાથે ગૌસેવકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
ગોંડલ, તા.,૨૯: ગોંડલ નેશનલ હાઈવે પર થી ગૌવંશ ભરેલ ટ્રક નો પીછો કરી યુધ્ધ એજ કલ્યાણ ગૃપ નાં મેમ્બરો તથાં ગૌસેવકો એ ચોટીલા પાસે ટ્રક ને આંતરી લઇ નવ ગાયો ને બચાવી ચોટીલા પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સાટોડીયા સોસાયટીમાં રહેતાં અને યુધ્ધ એજ કલ્યાણ ગૃપ નાં સક્રીય સભ્ય પૃથ્વી યોગેશભાઈ જોષી ને માણાવદર તરફથી જીજે.ઓ૪-૭૩૬૬ નાં ટ્રકમાં ગૌવંશ ભરી મહારાષ્ટ્ર ધુલીયા ધકેલાઇ રહ્યાંની બાતમી મળતાં પૃથ્વી જોશી એ યુધ્ધ એજ કલ્યાણ ગૃપ નાં અન્ય વિજયભાઈ જાદવ, દેવાંગભાઇ જોશી, દર્શન સાકરવાડીયા ઉપરાંત ગૌસેવકો ગોપાલભાઇ ટોળીયા તથાં ગોરધનભાઈ પરડવા ને જાણ કરતાં ગત રાત્રીનાં એક નાં સુમારે તમામ હાઇવે પર વોચ રાખી બેઠાં હતાં ત્યારે ઉપરોકત ટ્રક પસાર થતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ટ્રક ચાલકે રોકવા ને બદલે ફુલ સ્પીડે ટ્રકને ભગાવતા તેનો પીછો કરાયો હતો. ટ્રક રાજકોટ થઇ ચોટીલા તરફ ભાગતા ચોટીલાના ગૌસેવકો દલસુખભાઇ અજાડીયા તથાં જયદિપભાઇ ખાચરને જાણ કરાતાં ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે ટ્રક જડપાઈ જતાં ટ્રકનાં ઠાઠામાં તાલપત્રી નીચે કૃરતાપુર્વક બાંધી રખાયેલ નવ જેટલી ગાયો ને મુકત કરાઇ હતી. ચોટીલા પોલીસને જાણ કરાઇ હોય દોડી આવેલ પોલીસે ટ્રક ડ્રાઇવર માણાવદરનાં ખાંભલાનાં ભાવેશ બાવાજી તથાં કાર્તિક નામનાં શખ્સ ની અટક કરી પુછપરછ કરતાં માણાવદર થી કરશન રબારી તથાં ધોરાજી નાં મહેબુબ આમદ મતવા એ ગૌવંશ ભરી ધુલીયા મોકલાઇ રહયાં નું જણાવતાં ચોટીલા પોલીસે પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ સહીત ગુન્હા નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
યુધ્ધ એજ કલ્યાણ ગૃપ નાં પૃથ્વી જોશી એ જણાવ્યું કે અન્ય અઢાર જેટલી ગાયો બે અલગ ટ્રકમાં લઇ જવાઇ રહી હતી જે પૈકી એક તારાપુર ચોકડી નજીક અને બીજી બોરસદ ભરુચ વચ્ચે જડપાઈ જવાં પામી છે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કતલખાને ધકેલાઇ રહેલ પશુઓનાં મુદ્દે ગોંડલમાં બે જુથ વચ્ચે બબાલ થવાં પામી હતી.જેમાં પોલીસે ગૌસેવકો તથાં યુધ્ધ એજ કલ્યાણ ગૃપ નાં મેમ્બરો સામે ફરીયાદ કરી હતી આ મુદે ગોંડલ બંધ રહેવાં પામ્યું હતું.