ખંભાળીયાના સલાયામાં રમઝાનમાં મુસ્લિમ જુથો વચ્ચે તકરાર
તિક્ષ્ણ હથિયારોના હુમલામાં ર ને ઇજાઃ સમાધાન થતા પોલીસ ફરિયાદ ન થઇ
તસ્વીરમા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
ખંભાળિયા, તા. ૨૯ :. તાલુકાના સલાયા ગામે ગઈકાલે રમઝાનના મુસ્લિમોના પવિત્ર માસમાં બે જુથો વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ તંગ થતા ખંભાળીયાથી પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા તથા રાત્રે ફુટ પેટ્રોલીંગ કરવાની ફરજ પડી હતી.
સલાયામાં રહેતા સંઘાર પરિવારના ઈશા શેઠના રાજુના છોકરાઓ જેઓ પૂર્વ પાલિકા પ્રમુખના સગા થાય છે. તેઓ તથા હાલના પાલિકા ઉપપ્રમુખ ભાયા પરિવારના છોકરાઓ ગત રાત્રીના રમઝાન ચાલતો હોય બજારમાં નિકળતા બોલાચાલી થઈ હતી. આ પછી બન્ને જુથો વચ્ચે તકરાર થઈ હતી. જેમા છરી જેવા તિક્ષ્ણ હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. આ પછી આ બનાવમાં બે ને ઈજા થતા તેમને ખંભાળિયા હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
બનાવ અંગે ખંભાળિયા એ.એસ.પી. પ્રશાંતકુમાર પણ સલાયા દોડીી ગયા હતા તથા આગળ તપાસ હાથ ધરી હતી.
જો કે એક જુથના બે વ્યકિત ખંભાળિયા હોસ્પીટલમાં દાખલ થતા તથા આ અંગે પોલીસના ધાડા ઉમટી પડતા સંઘાર તથા ભાયા જુથના આગેવાનો ઉમટી પડયા હતા તથા સમાધાનનો દોર શરૂ કરતા પોલીસ ફરીયાદ થઈ નથી.
જો કે બનાવ અંગે એસ.પી. રોહનકુમાર આનંદનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે રાત્રે સળાપામાં બે જુથો વચ્ચે મામૂલી બોલાચાલીમાં તકરાર થતા બન્ને ઇજા થઇ હતી તથા રાત્રિનાજ કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા સાવચેતીના પગલા રૂપે રાત્રે એક કલાક સુધી પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યુ હતું બનાવ અંગે હજુ સુધી કોઇ ફરિયાદ થઇ નથી પરંતુ આ પ્રકરણમાં બન્ને પક્ષના વ્યકિતઓને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
સલાયામાં વારંવાર તકરાર થતી હોય તથા ભૂતકાળમાં અહીંથી કરોડોના નશાકારક પદાર્થો પણ મળેલા હોય પોલીસ સ્ટેશનમાં કડક અધિકારીને મુકવાની લોકોમાં માંગ ઉઠી છે. સંભવત થોડા સમયમાં પોલીસમાં પ્રમોશનનો રાઉન્ડ આવનાર હોય તે પછી પોલીસ અધિકારી કડક નિમાય તેવી સંભાવના મનાય છે.