નાથદ્વારા ગયેલ મોજથી આઈસ્ક્રીમ ખાતા ભાવનગર પંથકનાં
પિતા-પુત્ર ઉપર ગરમ ડામર પડતા બન્નેના મોત
સોની પરિવાર નાથદ્વારા ગયેલઃ હાહાકાર
આટકોટ, તા. ૨૯ :. ભાવનગર જિલ્લાના બજુડ ગામે સોની કામની દુકાન ધરાવતા નિતીનભાઇ રસીકભાઇ ઉડવીયા પરશોતમ માસ અને વેકેશન હોય પોતાના સાસરી પક્ષમાં દસેક વ્યકિતઓ સાથે નાથદ્વારા ગયેલા અને બધા રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ ચોપાટી ખાતે રેકડી ઉપર આઇસ્ક્રીમ ખાતા હતા.
આ દરમિયાન ત્યાંજ થોડા દિવસ પહેલા ભુગર્ભ ગટરનું કામ પુરુ થયુ હોય રોડ ઉપર ફરી ડામર કામ ચાલુ હતું નિતીનભાઇ અને તેમનો પુત્ર સહિત બધા ઉભા હતા ત્યાંથી ગરમ ડામર ભરી એક ડમ્પર નિકળ્યું હતું. એ ગરમ ડામર સાથેની કપચી આઇસ્ક્રીમ ખાતા નિતીનભાઈ સોની (ઉ.વ. ૩૫) અને તેમના પુત્ર યશ (ઉ.વ. ૧૨) ઉપર સીધો જ ડામર ઠલવાઈ જતા દેકારો બોલી ગયો હતો. સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ ૧૦ મિનીટમાં જ બન્નેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે એ પહેલા બન્નેના મૃત્યુ થતા ભારે શોક છવાઈ ગયો હતો.
મૃતક નિતીનભાઈ તેમના પત્નિ, પુત્ર, પુત્રી, સાઢુભાઈ અને કાકાજી સસરાના પરિવાર સાથે નાથદ્વારા ગયા હતા. આ બધાની નજર સામે કલ્પના પણ ન હોય એ રીતે કાળ ત્રાટકતા પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો હતો.