જામકંડોરણા તાલુકા પંચાયત કચેરીમાં નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ
જામકંડોરણા તા.૨૯ : તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત બિલ્ડીંગનો લોકાર્પણનો કાર્યક્રમ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે તા.પં. નવનિર્મિત ભવનમાં ગૃહ પ્રવેશ વિધિ, તકતી અનાવરણ જેશભાઇ રાદડીયાના હસ્તે કરાયુ હતુ. સ્વાગત તાલુકા વિકાસ અધિકારી કે.વી.દવેએ કર્યુ હતુ. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મકવાણા, તા.પં.ના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે જે કામનું ખાતમુહુર્ત કરેલ હોય તેનું લોકાર્પણ આપણે જ કરીએ છીએ. આ તાલુકામાં રાજકારણ પરિવારની ભાવનાથી ચલાવી રહ્યા છીએ એટલે જ આ તાલુકો ૩૦ વર્ષના શાસનમાં પરિવારની જેમ અડીખમ ઉભો રહ્યો છે. આ તાલુકાને કોઇ હલાવી શકયુ નથી. પરિવારની માફક રહ્યા છીએ એનું આ પરિણામ છે અને વિકાસની દ્રષ્ટિએ આ તાલુકાની સુરત બદલાવી શકયા છીએ અને ગામડાની અંદર સારૂ વાતાવરણ બને તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. વધુમાં જણાવેલ કે જળસંચય અભિયાનમાં જેતપુર જામકંડોરણાનો સમગ્ર વિસ્તારને આવરી લીધો છે. તાલુકાના ૫૦ ગામમાં કામગીરી ચાલી રહી છે. તાલુકાના વિકાસમાં કયાંય પણ પાછીપાની નહી કરીએ ત્યારે સારા વાતાવરણમાં તાલુકા પંચાયતની કામગીરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
મામલતદારશ્રી અપારનાથી, તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવે, તા.પં.ના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા દુઘ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ, ગૌતમભાઇ વ્યાસ, ખીમજીભાઇ બગડા, કાનજીભાઇ પરમાર, બાલવિકાસ યોજના અધિકારી વિલાસબેન સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓ, તા.પં.ના હોદ્દેદારો, તા.સરપંચો તેમજ આગેવાનોએ હાજરી આપી હતી. આભાર દર્શન ના.કા.ઇ.ગૌરાંગ વ્યાસ અને સંચાલન જે.પી.પરમારે કર્યુ હતુ.