સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th February 2020

ગુજરાતના બજેટમાં જનજનની આકાંક્ષાઓ પરિપુર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ : રાદડીયા

 નવાગઢ તા.૨૯ : રાજયના નાણામંત્રી નિતીનભાઇ પટેલે વિધાનસભામાં રજૂ કરેલ ૨૦૨૦-૨૧ના બજેટને આવકારવા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ બજેટને જનજનની આકાંક્ષાઓ પરિપુર્ણ કરનાર શ્રેષ્ઠ બજેટ ગણાવ્યુ છે.

મંત્રીશ્રી રાદડીયાએ જણાવેલ કે, રૂ.૨,૧૭,૨૮૭ કરોડનું કદ ધરાવતુ અને રૂ.૬૦૫ કરોડની પુરાંત દર્શાવતા બજેટમાં ખેડૂત, ગરીબ, આદિવાસી મહિલાઓ, બાળકો, રોજમદારો, વેપારીઓ અને નાના મોટા ઉદ્યોગકારોનુ વિશેષરૂપે ધ્યાન રખાયુ છે તેમજ શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન નર્મદા, મહિલા અને બાળકલ્યાણ, જળસંપતિ, સિંચાઇ, સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતી વિકાસ જેવા તમામ સેકટરો, ઉર્જા ગૃહ નિર્માણ, પંચાયત અને ગામડાઓના વિકાસ માટે અસરકારક જોગવાઇઓ કરાઇ છે.

એક રીતે ગુજરાતની જનતાની જરૂરીયાતોને વાચા આપતા આ બજેટમાં દિવસે ખેડૂતોને વિજળી આપવાની દિનકર યોજનાની જાહેરાત કરાઇ છે તથા ૧ લાખ ખેડૂતોને ખેતી વિષયક જોડાણ આપવાની જાહેરાત કરાઇ છે. સાથે પહેલીવાર રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ૧૨ કિલો તુવેરદાળ આપવાની વિશેષ જોગવાઇ કરાઇ છે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ માટે આ બજેટમાં રૂ.૧૨૭૧ કરોડની જોગવાઇ અને કુટીર ઉદ્યોગ માટે રૂ.૪૧૧ કરોડની જોગવાઇ કરાઇ છે

જે આવકારદાયક છે. ખેડૂતો અને પશુપાલકોને વિશેષ સહાય તથા ગાયોના નિભાવ ખર્ચની જોગવાઇ અને વૃધ્ધોના પેન્શનમાં ધારો આ બજેટની વિશેષતાઓ છે.

રાજયના યુવાનોને રોજગારી, નવી ભરતીઓ, દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન, પાંજરાપોળ, માઇક્રોઇરીગેનશન, વૃધ્ધાશ્રમ નિભાવ ગ્રાન્ટ, ખેડૂતોને માલવહન માટે મદદ, પ્રાથમિક શાળાના ૭૦૦૦ નવા ઓરડાઓ બનાવવા જેવી અનેકવિધ બાબતોની જોગવાઇ તથા ગામ અને શહેરોના મજબૂત વિકાસ માટે નાણાકીય વ્યવસ્થાનુ સુંદર આયોજન કરતુ આ બજેટ એક રીતે અભુતપુર્વ કહી શકાય તેવુ છે. સાચા અર્થમાં વિકાસને ઘર ઘર સુધી પહોચાડવામાં પ્રયત્નરૂપી હોવાનુ અંતમાં રાજયમંત્રી રાદડીયાએ જણાવેલ છે.

(11:47 am IST)