ભારતીય તટરક્ષક ટીમે ગંભીર બિમાર માછીમારને બચાવી લીધો
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯ : ભારતીય તટરક્ષક દળના જહાજ C-161 ૨૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ નિયમિત કામગીરીમાં નિયુક્ત હતું તે દરમિયાન, સાંજે ૨૧.૩૦ કલાકે ભારતીય માછીમારી બોટ દિક્ષામાં રહેલા એક માછીમારને ગંભીર શ્વસન સમસ્યા થઇ હોવાથી મુશ્કેલી મદદ માંગતા તેમણે તાત્કાલિક આ બોટને આંતરીને તેમની મદદ કરી હતી. પોરબંદર હેડક્વાર્ટર ખાતેથી તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર દ્વારા તાત્કાલિક ધોરણે C-161 જહાજને મેડિકલ બચાવ માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. C-161 જહાજે મુશ્કેલીમાં રહેલા દર્દીને બહાર કાઢયો હતો અને પ્રાથમિક સારવાર આપી હતી તેમજ ૨૨૧૫ કલાકે તેને પોરબંદરના બંદર ખાતે લાવવામાં આવ્યો હતો. ICG ઇન્ટરસેપ્ટર બોટ (IB) દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કાર્તિકેયનના કમાન્ડ હેઠળ ત્વરિત પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાથી દર્દીને સમયસર બહાર લાવી શકાયો હતો અને મેડિકલ મદદથી તેનો જીવ બચાવી શકાયો હતો. હાલમાં દર્દીની સ્થિતિ સુધારા હેઠળ અને સારી હોવાનું જાણવા મળ્યું છે.