મોરબીના વોર્ડ નં. ૯ માં ડ્રેનેજની તૂટેલી લાઈન તાકીદે રીપેર કરવાની માંગ : સોસાયટીઓમાં દુર્ગંધનું સામ્રાજ્ય, રોગચાળાની ભીતિ.
મોરબીના વોર્ડ નં.૯ વિસ્તારમાં આવેલ મચ્છુ- સિંચાઈ યોજનાની માઇનોર કેનાલના કામમાં નગર પાલિકાની ડ્રેનેજની પાઈપ લાઈન તૂટી ગયેલ હોય તાત્કાલિક રીપેર કરવા સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું કે મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ ૯ ના વિસ્તારમાં મચ્છુ -૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જતી કેનાલ છે. જે કેનાલને પાઈપ લાઈન કેનાલમાં ફેરવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામ દરમ્યાન કેનાલ નીચેની પસાર થતી મોરબી નગર પાલિકાના ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી હાલતમાં છે. આ પાઈપ લાઈન દ્વારા આશરે ૩૦ થી ૩૫ સોસાયટીઓના ગટર ના પાણી પસાર થાય છે. આ ગટર તૂટી જવાના કારણે ત્યાં ના વિસ્તમાં ખુબજ દુર્ગંધ ફેલાય છે. તેમજ મચ્છર તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ થાય છે. જેનાથી રોગચાળોમાં વધારો થાય છે.
જેથી માંગણી છે કે ગટરની પાઈપ લાઈન તાત્કાલિક રીપેર કરવામાં આવે .જો આવું કરવામાં નહી આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવાયું હતું.